જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે
slider-1
slider-2
slider-3

જયમલ્લ પરમારની જીવનયાત્રા

bottomline

પુસ્તકનાં પાનાં ફેરવીને વર્ષવાર જીવનપ્રસંગો વાંચો

જીવનયાત્રા

જયમલ્લ પરમાર
1911 થી 1991

જીવનપ્રવાસ

1911 થી 1929

જીવનપ્રસંગ 01
વતન અને જન્મસ્થળ વાંકાનેર, માતા-શ્યામબા :
ત્રણ ભાઈઓમાં સૌથી નાનેરા.
વાંકાનેરમાં શૈશવકાળ, પર્યટન, લોકજીવનની ખોજ, કરાળ ભેખડો ખૂંદવામાં વધારે રસ, ગુજરાતમાં રખડપટ્ટી, નાટક કંપનીમાં જોડાયા.
જીવનપ્રવાસ

1930 થી 1934

જીવનપ્રસંગ 02
ગાંધીજીના રંગે રંગાયા. મોરબીમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ અને રાજકોટમાં કાઠિયાવાડ યુવક પરિષદના સંમેલનોમાં સામેલ થયા. સ્વતંત્રતા સંગ્રામ અને રચનાકાર્યો. ધોલેરા, રાણપુર, ધ્રોળ, વણોદ, ધ્રાંગધ્રા, અમરેલીની પ્રજાકીય લડતોમાં અગ્રસ્થાને.
જીવનપ્રવાસ

1934 થી 1936

જીવનપ્રસંગ 03
વાંકાનેરમાં સ્વસ્તિક ચર્માલયનો આરંભ. બાદમાં તેને અમરેલી પાસે તરવડા ફેરવ્યું. હરિજન ઉત્કર્ષ અને નશાબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. ભાવનગરના ઠક્કરબાપા હરિજન આશ્રમનું સંચાલન.
જીવનપ્રવાસ

1936 થી 1937

જીવનપ્રસંગ 04
મનુભાઈ પંચોલી (દર્શક) અને બાબુભાઈ શાહ સાથે ભારતભરનું નવ માસ પર્યટન. રંગુન, પેશાવર, અમરનાથ, શ્રીનગર, શાંતિનિકેતન સુધીનો પ્રવાસ.
જીવનપ્રવાસ

1937

જીવનપ્રસંગ 05
પાળિયાદમાં આવેલા ધરતીકંપ વખતે રાહતકાર્યો. રાજકોટમાં યોજાયેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના છઠ્ઠા અધિવેશનનો જયમલ્લભાઈના ગાન સાથે આરંભ.
જીવનપ્રવાસ

1938 થી 1939

જીવનપ્રસંગ 06
હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સામેલ. રાજકોટ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા નિભાવી. ગાંધીજીના ઉપવાસને કારણે રાજકોટની લડત રાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બની હતી.
જીવનપ્રવાસ

1939 થી 1942

જીવનપ્રસંગ 07
‘ફૂલછાબ’ સાપ્તાહિક, રાણપુરમાં ઝવેરચંદ મેઘાણીના સાથીદાર તરીકે જોડાયા. ચિંતન-મનન-સંશોધન-અભ્યાસ-લેખન-પર્યટન, સાહિત્ય,પત્રકારત્વ અને લોકસાહિત્યની દિશામાં પદાર્પણ. ‘કાઠિયાવાડના ઘડવૈયા’ પુસ્તકથી 1940થી લેખનનો આરંભ. સાડાત્રણ વર્ષ ઝવેરચંદ મેઘાણીના સાથીદાર તરીકે રહ્યા. લાહોર અને કરાચીમાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમો આપ્યા.
જીવનપ્રવાસ

1942 થી 1947

જીવનપ્રસંગ 08
‘ભારત છોડો’ આંદાલોનમાં સક્રિય, બોમ્બ બનાવવા, ટ્રેન વ્યવહાર ખોરવવો, પુલ ઉડાડી દેવાની કોશિશ. અંગ્રેજ શાસન સામે લડાયક. ત્રણ પકડ વોરંટને કારણે સવાત્રણ વર્ષ મુંબઈમાં ભૂગર્ભવાસ રહ્યા. આ વર્ષો દરમિયાન ‘ખંડિત ક્લેવરો’ સહિત 15 પુસ્તકો ગુજરાતી સાહિત્યને સમર્પિત કર્યા. ભૂગર્ભવાસ દરમિયાન ‘ઇન્દુભાઈ’ નામ રાખ્યું, જે નામથી મિત્રોમાં ઓળખાતા.
જીવનપ્રવાસ

1947 થી 1955

જીવનપ્રસંગ 09
સાથીદાર નિરંજન વર્માની અસાધ્ય બીમારી. સાપ્તાહિક ‘ફૂલછાબ’નું સંચાલન સંભાળ્યું અને 1950 ની બીજી ઓક્ટોબરે તેનું દૈનિકમાં રૂપાંતર કરી રાજકોટ લાવ્યા. દૈનિક ‘ફૂલછાબ’ના 1950 થી 1955 સુધી પ્રથમ તંત્રી.
જીવનપ્રવાસ

1956 થી 1965

જીવનપ્રસંગ 10

આઝાદી પછી રાજકીય આગેવાન બની સત્તાસ્થાને ગોઠવાઈ જવાને બદલે લોકસાહિત્યની સેવાને પોતાનું જીવનકાર્ય ગણી અનેક સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સેવાકીય પ્રવૃત્તિઓના પ્રણેતા બન્યા. નશાબંધી જેવી સમાજોત્થાનની પ્રવૃત્તિ સંભાળી. સૌરાષ્ટ્ર સંગીત-નાટક એકેડેમી, લોકસાહિત્ય વિદ્યાલય, જૂનાગઢ વગેરે સંસ્થાઓના સ્થાપક. રાજકોટના આકાશવાણી કેન્દ્રને લાવવામાં ચાવીરૂપ ભાગ લીધો. દસ વર્ષ સુધી આકાશવાણીની સલાહકાર સમિતિના સભ્ય.

જીવનપ્રવાસ

1972

જીવનપ્રસંગ 11

સ્વતંત્રતાની રજતજયંતી નિમિત્તે દેશના અગ્રીમ હરોળના સ્વાતંત્ર્ય સૈનિક તરીકે વડાપ્રધાન ઇંદિરા ગાંધીના હસ્તે શાલ અને તામ્રપત્ર એનાયત થયા.

જીવનપ્રવાસ

1967 થી 1985

જીવનપ્રસંગ 12

લોકસાહિત્યના લેખન-વિકાસનો સમય. ‘ઊર્મિનવરચના’નું તંત્રીપદ સ્વીકારી જયમલ્લભાઈએ તેને લોકસાહિત્યનું વાહક બનાવ્યું. પચાસ જેટલી કલમોને લખતી કરી. ગુજરાતી સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળ્યું, જેમાં લોકસાહિત્યના સ્વીકારનો ઠરાવ થયો. લોકસાહિત્ય પરિવારની સ્થાપના. દિલ્હીમાં ગાંધીદર્શન પ્રદર્શનના સમાપન પ્રસંગે ત્રણ દિવસ લોકસાહિત્યના કાર્યક્રમો આપ્યા. ગુજરાતનું લોકસાહિત્ય અને લોકકલાકારો પહેલી વખત રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા. સ્વતંત્રતાની પચીસમી જયંતીએ ગુજરાત વિધાનસભામાં લોકસાહિત્યનો કાર્યક્રમ રજૂ કરાવ્યો.

જીવનપ્રવાસ

1976 થી 1978

જીવનપ્રસંગ 13
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકસાહિત્યના મુલાકાતી અધ્યાપક. લોકસાહિત્યના વૈજ્ઞાનિક અન્વેષણ અને લેખન. લોકસાહિત્યના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ રાજ્ય સંગીત-નાટક એકેડેમીનો ગૌરવ પુરસ્કાર એનાયત.
જીવનપ્રવાસ

1979

જીવનપ્રસંગ 14

લોકસાહિત્યના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ રાજ્ય સંગીત-નાટક એકેડેમીનો ગૌરવ પુરસ્કાર એનાયત.

જીવનપ્રવાસ

1985 થી 1991

જીવનપ્રસંગ 15
પ્રવૃત્તિઓ ઘટાડતા જઈને અંતર્મુખી જીવન તરફ દ્દષ્ટિકોણ કેળવ્યો. લેખન-વાચન ચાલુ જ રહ્યું. સૌરાષ્ટ્રના ધર્મસ્થાનકો અને દેહાણ જગ્યાઓ ઉપરના આધારભૂત ગ્રંથ ‘સેવાધરમનાં અમરધામ’ સહિત છ પુસ્તકોનું લેખન. હજી ભજનની દિશામાં નોંધપાત્ર કામ કરવાની ભાવદશામાં, 12મી જૂન, 1991ના દિવસે, બપોરની નિદ્રાવસ્થામાં અંતિમ વિદાય.

અંત નહીં,
એક પ્રેરણા

લોકસાહિત્ય અને ગુજરાતી સાહિત્યને સમર્પિત એક પ્રેરણાદાયી જીવન

1 / 15

પાનું ફેરવવા માટે પાનાના ખૂણા પર ક્લિક કરો

જયમલ્લ પરમાર લિખિત અને સંપાદિત પુસ્તકો

લિખિત અને સંપાદિત ગ્રંથોનો સમૃદ્ધ સંગ્રહ

દુહો દસમો વેદ દુહો દસમો વેદ
આપણું લોકસંગીત આપણું લોકસંગીત
આપણી લોકસંસ્કૃતિ આપણી લોકસંસ્કૃતિ
આપણાં રાસ-ગરબા આપણાં રાસ-ગરબા
પત્રકાર-સેનાપતિ અમૃતલાલ શેઠ પત્રકાર-સેનાપતિ અમૃતલાલ શેઠ
પતિતપાવની સરિતાઓ પતિતપાવની સરિતાઓ
વધુ પુસ્તકો જુઓ

સાહિત્યસૂચિ

bottomline

વિવિધ સાહિત્યપ્રકારો અને ગ્રંથસંગ્રહો

શેખચલ્લી ગ્રંથાવલિ શેખચલ્લી ગ્રંથાવલિ
લોકવાર્તા સંગ્રહો લોકવાર્તા સંગ્રહો
નવલકથાઓ નવલકથાઓ
જીવનચરિત્રો જીવનચરિત્રો
ખગોળ ખગોળ
લોકસાહિત્ય લોકસાહિત્ય
પક્ષીપરિચય ગ્રંથાવલિ પક્ષીપરિચય ગ્રંથાવલિ
નશાબંધી ગ્રંથાવલિ નશાબંધી ગ્રંથાવલિ
કવિતા કવિતા
સંસ્મરણો સંસ્મરણો
સંપાદનો સંપાદનો
નાટકો નાટકો
કટાક્ષવાણી કટાક્ષવાણી
અનુવાદ અનુવાદ
ઇતિહાસ ઇતિહાસ
પ્રાપ્તિસ્થાન પ્રાપ્તિસ્થાન

સાહિત્યકારો અને અગ્રણીઓની નજરે

સાહિત્યકારો અને અગ્રણીઓના શબ્દોમાં જયમલ્લ પરમારનું વ્યક્તિત્વ અને પ્રદાન

કાકાસાહેબ કાલેલકર

કાકાસાહેબ કાલેલકર

‘ગગનને ગોખે’ એ ચોપડી મેં પ્રસન્નતાપૂર્વક વાંચી હતી એ તો યાદ છે જ, પણ હું માનું છું કે પૂ. બાપુજી (ગાંધીજી)નું ધ્યાન પણ એ પુસ્તકે ખેંચ્યું હતું. લોકસંસ્કૃતિ તરફ આપણા વિદ્વાનોનું અને લેખકોનું ધ્યાન ઓછું જતું હતું, તે વખતે  એ વિષય તરફ જનતાનું ધ્યાન ખેંચવાનું કામ શરૂઆતમાં મેં કરેલું. લેખો લખીને અને વિશેષ તો વાતચીતમાં. હવે એ વિષય ખૂબ ખેડાતો જાય છે. તમારૂં ‘આપણી લોકસંસ્કૃતિ’ પુસ્તક ફેરવતાં જ તે ઘણું મહત્વનું જણાયું. કલકત્તા તરફ એક ‘ફોકલર સોસાયટી’ સારું કામ કરે છે. તમારા જેવા એ સોસાયટીમાં ભાગ લે અને લેખો લખે તો અખિલ ભારતીય દ્દષ્ટિ કેળવવામાં ઘણાં લોકોને મદદ થાય.

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

ભાઈ નિરંજન અને જયમલ્લ એ બન્ને છેલ્લાં ત્રણ વર્ષોથી ‘ફૂલછાબ’ના તંત્રીમંડળ પર છે અને ‘ફૂલછાબ’ના પત્રકારત્વ માટે મેં નિરધારેલું જે સંસ્કારવિધાન, તેને અમલમાં લાવવાનો તેમનો મોટો હાથ છે. તેઓ ‘ફૂલછાબ’માં જોડાયા તે પૂર્વે છેક 1930-33 ના અરસાથી રાજકોટના સંગ્રામ (1938) સુધી સૌરાષ્ટ્રના નવવિધાનના જ કાર્યકરો હતા. નાની-મોટી લડતોના લડવૈયાઓ અને નાનાં-મોટાં રચનાત્મક કાર્યોના કરવૈયાઓ હતા. પત્રકારત્વને પણ તેમણે બન્નેએ પૂર્વજીવનના સાતત્ય લેખે જ સ્વીકાર્યું છે.

મોરારિબાપુ

મોરારિબાપુ

જયમલ્લભાઈ લોકશૈલીમાં આવું વૈવિધ્યભર્યું સાહિત્ય આપી શક્યા, કારણ કે તેઓ લોકજીવનના નિરીક્ષક અને માલમી હતા. પત્રકાર, લેખક, સ્વાતંત્ર્યસૈનિક અને લોકસાહિત્યના સંશોધક-સંગ્રાહકનો વિરલ સમન્વય તેમનામાં થયો હતો. ગુજરાતી ક્કકામાં મને કોઈ પૂછે તો કલમનો ક, ખડિયાનો ખ, ગણપતિનો ગ, એમ ‘જ’ એટલે જયમલ્લ પરમારનો એમ કહું.

ગુણવંત શાહ

ગુણવંત શાહ

કાઠિયાવાડ એ તો આ રાષ્ટ્રના હૃદયસમો ધબકતો પ્રદેશ છે. ગામેગામ પાળિયા અને પાળિયે પાળિયે રહેલા ઇતિહાસરૂપી લોકસંસ્કૃતિને જીવતી રાખનાર ઝવેરચંદ મેઘાણી અને જયમલ્લભાઈ જેવા પનોતા કલમનવેશો અહીં પાક્યા છે. તેમના જેવા ધીંગી અને ધબકતી કલમના લોકસાહિત્યકારો આ ધરતીની સોડમ છે અને તેના દ્વારા ધરતી સુગંધી બની છે. અહીંનો બહારવટિયો પણ હૃદયહીન નથી. આ બહારવટિયા પણ રાજકારણીઓના રૂપમાં મળ્યા હોત તો દેશની અવદશા ન હોત ! ખમીર, ખાનદાની અને ખટપટ આ ભોમકા ઉપર સાથે ચાલ્યા છે.

રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

જયમલ્લભાઈ માત્ર કુશળ સંગઠક, સંપાદક અને લેખક ન હતા, પણ એક કર્મશીલ સારસ્વત હતા. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિને મનોરંજનથી ઊંચેરી ભૂમિકાએ તેમણે મૂકી આપી હતી

ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી

જયમલ્લ પરમારના પુસ્તક ‘આપણી લોકસંસ્કૃતિ’માં ‘અવર રોઝાંને દો દો શિંગા, સાયબાને એકલશીંગ, એ રે એંધાણીએ સાયબો આવશે.’ એ ભજનપંક્તિનો સંબંધ સિંધુખીણની સંસ્કૃતિનાં અવશેષોમાં મળતી, અમુક મુદ્રામાં મળતી, એક શીંગડાવાળાં પ્રાણીની, દેવની હોય એવો ખ્યાલ આપતી, આકૃતિ સાથે જોડવામાં આવ્યો છે. એ એક હિંમતભર્યો પ્રસ્તાવ છે અને સાચો ઠરવા પૂર્વે પૂરી ચકાસણી માગી લેશે. પણ આ ભજન સાંભળનારને મોંહે-જો-દડો અને હડપ્પાની સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓનો સુરેખ ખ્યાલ હોય તો જ આવું સંયોજન એના વિચારમાં આવે એ મુદો અત્રે પ્રસ્તુત છે.

મનુભાઈ પંચોળી (દર્શક)

મનુભાઈ પંચોળી (દર્શક)

આજે તો ભદ્ર વર્ગ વધુને વધુ અલગ થતો જાય છે અને લોક પણ તેમનું જ આંધળું અનુકરણ કરે છે. આ વિષમ પરિસ્થિતિમાં જયમલ્લભાઈએ લોકો પ્રત્યે ભદ્ર વર્ગનો અનુરાગ અને ઋણબુધ્ધિ જાગૃત રહે તે માટેનું જે કાર્ય કર્યું તે મહત્વનું છે. લોકસાહિત્યના ક્ષેત્રમાં જયમલ્લભાઈની એક વિશિષ્ટ પ્રતિભા હતી. એક યુનિવર્સિટી જેટલું કામ તેમણે એકલે હાથે આ ક્ષેત્રમાં કર્યું છે.

ડૉ. હરિવલ્લભ ભાયાણી

ડૉ. હરિવલ્લભ ભાયાણી

સૌરાષ્ટ્રના લોકજીવનના ઘડતરનું, રાષ્ટ્રીય જાગૃતિ અને ઉત્થાનનું, લોકસાહિત્યની પરંપરા અને ભાવનાને જાળવી રાખવા માટે વ્યક્તિગત અને સંસ્થાગત પ્રવૃત્તિ કરતા રહ્યાનું, સાહિત્યિક પત્રકારત્વનું અને સર્જનાત્મક લેખનનું-એમ જયમલ્લભાઈનું જીવનકાર્ય કેટકેટલાં ક્ષેત્રો પર પથરાયેલું છે ! રાષ્ટ્રઘડતર અને સંસ્કારઘડતરને તેમનું જીવન વરેલું હતું.

કે. કા. શાસ્ત્રી

કે. કા. શાસ્ત્રી

જયમલ્લભાઈએ જો કોઈ મોટી સેવા કરી હોય તો એ લોકસાહિત્ય ક્ષેત્રે અનેક લેખકોને આકર્ષી, એમની પાસેથી કિંમતી લેખો તેમજ અપ્રસિધ્ધ લોકસાહિત્ય મેળવીને, પ્રજાના એ અમૂલ્ય વારસાની ભેટ આપવાની. અહં વિનાની, સામાને આકર્ષવાની અને એ રીતે પોતાના કરી એમની પાસેથી કિંમતી સામગ્રી મેળવી, માત્ર સંતોષ ન લેતાં, ફરી લોકોને ચરણે ધરી દેવાની લગની મને જયમલ્લભાઈમાં જોવા મળી હતી. ‘ઊર્મિનવરચના’ની તે ઘણી મોટી સેવા કહી શકાય.

હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે

જયમલ્લભાઈને તેમના પ્રેરક લખાણો દ્વારા મારી બાલ્યવયથી જાણું છું. ‘અણખૂટધારા’ વાંચી આંખો ભીંજાઈ હતી. ‘ખંડિત ક્લેવરો’માં પણ નર્મ-મર્મના આવરણ હેઠળ વેદના વ્યક્ત થઈ હતી. નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારની મૈત્રી વિશે સાંભળ્યું હતું. ઈશ્વરલાલ દવે, ભારતી સાહિત્ય સંઘ, ‘ઊર્મિનવરચના’ નામો બચપણથી કાન પર અથડાતા રહ્યા હતા. આ સૌમાંથી પ્રત્યક્ષ મળવાનું થયું એક માત્ર જયમલ્લભાઈને. ભક્તિભાવથી જેમનાં લખાણ વાંચ્યાં હતા, તેવા જયમલ્લભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે વિશિષ્ટ સ્પંદન અનુભવ્યું હતું.

ડૉ. બળવંત જાની

ડૉ. બળવંત જાની

લોકસાહિત્યવિષયક એમની વિભાવનાનું ધ્યાનપાત્ર લક્ષણ છે, સ્વાનુભવ આધારિત વિવેચન. લોકો અને ગ્રામજીવનનો એમનો સીધો, નિકટનો, લાંબો અનુભવ એમને લોકસાહિત્યને સમજવામાં અને સમજાવવામાં સહાયભૂત થાય છે. કંઠસ્થ લોકસાહિત્યનું સંપાદન-વિવેચન ઘરમાં ટેબલખુરશી પર બેસી યથાર્થરૂપમાં થઈ શકે નહીં. એને સમજવા માટે લોકોને બરાબર સમજવા જોઈએ. તે માટે તેમની વચ્ચે જઈ બેસવું પડે, પરિભ્રમણ કરવું પડે. જયમલ્લભાઈએ તેમ કર્યું છે. જયમલ્લભાઈનાં લખાણો કેવળ અનુભવ-નોંધ કે ડાયરી ન બની રહેતાં, લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનાં વિવિધ પાસાંને તેનાં વાસ્તવિક રૂપમાં આલેખતા વિચારપ્રેરક સ્વાધ્યાય લેખો બની શક્યા છે.

વિષ્ણુ પંડ્યા

વિષ્ણુ પંડ્યા

જયમલ્લભાઈ દેશની સ્વતંત્રતા પહેલાંના અને તે પછીનાં પત્રકારત્વમાં તથા પ્રવાહોમાં ગળાડૂબ જીવ હતા. મારો તેમની સાથેનો પહેલો શબ્દ પરિચય હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘ખંડિત ક્લેવરો’ નવલકથાના વાંચનથી થયેલો. સત્યાગ્રહયુગના આદર્શો અને વાસ્તવિક્તાઓ વચ્ચેના અંતરાલને તેમણે હાસ્યના માહોલમાં આબાદ રીતે આલેખ્યો છે.

દેવેન્દ્રકુમાર ર. દેસાઈ

દેવેન્દ્રકુમાર ર. દેસાઈ

શૈક્ષણિક મોટી ડિગ્રીઓ મેળવી હોય તો જ સમાજને પ્રદાન કરી શકાય તેવી સાચી-ખોટી માન્યતા ચાલે છે. પરંતુ સ્વરાજ લડત વખતના જયમલ્લભાઈ જેવા અનેક વ્યક્તિત્વ આપણી વચ્ચે સ્વરાજ પછી નિહાળ્યા છે, કે જેઓ પૂરૂં મેટ્રિક સુધીનું પણ ભણ્યા ન હોય, છતાં પોતાની આપસૂઝ, આત્મવિશ્વાસ અને અભ્યાસથી વિદ્વાન બન્યા હોય અને સમાજને અનેક ક્ષેત્રે પ્રદાન આપ્યું હોય. આજની અને આવતીકાલની નવી પેઢી ફક્ત સાત ધોરણ સુધી ભણેલા જયમલ્લભાઈ જેવા વ્યક્તિત્વમાંથી પ્રેરણા મેળવીને પોતાનું જીવન ઘડી શકે.

ડૉ. જે. જે. રાવલ

ડૉ. જે. જે. રાવલ

ગુજરાતમાં ખગોળના ક્ષેત્રે છોટુભાઈ સુથાર અને જયમલ્લ પરમાર અમારા ફોરફાધર્સ (વડવાઓ) છે.

ડૉ. નિરંજન રાજ્યગુરૂ

ડૉ. નિરંજન રાજ્યગુરૂ

જયમલ્લભાઈએ ‘ઊર્મિનવરચના’ થકી સંતસાહિત્ય વિષે લેખો લખ્યા, સંગ્રહ કરેલા ભજનો સંપાદિત કરીને મૂક્યા અને અન્ય લોકો પાસે લેખો લખાવ્યા. ગુજરાતમાં સંતસાહિત્યનો જેણે અભ્યાસ કરવો હોય તેણે ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર અને મકરંદ દવેના તદવિષયક પુસ્તકોમાંથી પસાર થવું જ પડે.

નરોત્તમ પલાણ

નરોત્તમ પલાણ

મેઘાણી શિષ્ટ સાહિત્યથી લોકસાહિત્યને અલગ પાડી શકેલા, પણ તેમણે ચારણી પરંપરાને લોકસાહિત્યમાં ગણી લેવાની ભૂલ કરેલી છે. જયમલ્લભાઈ આ ભૂલ સુધારે છે. લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને બારોટીસાહિત્ય અલગ અલગ પરંપરા છે એવું જયમલ્લભાઈ સ્પષ્ટ કરે છે. વળી લોકસાહિત્ય હંમેશાં બોલીમાં જ હોય એવી યથાર્થ સમજથી બોલી અને સાહિત્યનો સંબંધ ચર્ચે છે. જયમલ્લભાઈ બોલીને સ્પષ્ટ કરવા પ્રેરાયા છે, તેમ લોકને સ્પષ્ટ કરવા પ્રતિ પણ એમનું ધ્યાન ગયું છે. લોકસાહિત્યની તાસીર પરત્વે યોગ્ય દર્શન જયમલ્લભાઈ વ્યક્ત કરી શક્યા છે. મોટા ભાગનું અદ્યપિ કંઠસ્થ રહેલું સાહિત્ય, જયમલ્લભાઈ અને ‘ઊર્મિનવરચના’ના માધ્યમથી મુદ્રિત થયું છે.

હસમુખ બારાડી

હસમુખ બારાડી

સૌરાષ્ટ્રની કલાસંસ્કૃતિની જાળવણી અને વિકાસ માટે પણ તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર અને એના જાહેર અને સાંસ્કૃતિ કાર્યકરોએ ખૂબ રસ લીધો. એવા અનેક કાર્યકર્તાઓમાંથી જયમલ્લ પરમાર અને હરકાંત શુક્લ આજ દાયકાઓ પછી પણ યાદ આવી જાય. એમની પ્રવૃત્તિનું એક પરિણામ તે ‘સૌરાષ્ટ્ર સંગીત-નાટક અકાદમી’.

ડૉ. હસુ યાજ્ઞિક

ડૉ. હસુ યાજ્ઞિક

પરંપરાગત કહેવાતી આવતી કથાને કોઈ સંપાદકે પોતાની ભાષામાં આલેખવાની થાય તો એ કેવી રીતે શૈલીના વાઘા ચડાવ્યા વગર આલેખવી જોઈએ, એનો નમૂનો જયમલ્લભાઈ લિખિત લોકકથાઓ પૂરી પાડે છે. ‘ઊર્મિનવરચના’ના સંપાદનની આ અભ્યાસ-દ્રષ્ટિએ જ તો સાતમા-આઠમા દાયકાઓમાં લોકસાહિત્યને જોવા-મૂલવવાની પધ્ધતિનો વિકાસ થયો અને આ નવી વિદ્યાશાખાના યુવાન અભ્યાસીઓના દ્દષ્ટિ વિકાસમાં જયમલ્લ પરમારનો, ‘ઊર્મિનવરચના’નો ખાસ ફાળો છે. એથી તો ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાને જયમલ્લ પરમારના લોકવિદ્યા વિષયક લેખોના વિષયાનુસારી સંચયો કરવાનું સૂચવેલું. એ કાર્ય ચરિતાર્થ થયું એનો આનંદ છે.

ઈશ્વર પેટલીકર

ઈશ્વર પેટલીકર

‘મારી હૈયાસગડી’ નવલકથા છપાઈ રહી હતી. તેની પ્રસ્તાવના લખવાની હું મથામણ કરતો હતો. આજે જે પ્રસ્તાવના છે તેનું માર્ગદર્શન જયમલ્લભાઈનું છે. એક શિખાઉ લેખક તરીકે નાહક કોઈની બદનક્ષી થાય તેવી વાર્તા અગાઉ લખી બેઠો હતો. તેમાંથી ઝાઝું શીખ્યો ન હોઉં તેમ આ નવલકથાની પ્રસ્તાવનામાં જયમલ્લભાઈનું માર્ગદર્શન ન મળ્યું હોત તો બીજી વખત ભૂલ કરી બેસત. જયમલ્લભાઈને તો આ યાદ પણ નહીં હોય, પરંતુ હું શી રીતે ભૂલું ?

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

‘આપણાં લોકગીતો’ પુસ્તકમાં લોકસાહિત્યના પ્રવાહને અને નૈસર્ગિક પ્રેમગ્રંથિને જોડનારા લોકગીતો સાથેના સમાજજીવનનું સુઘડ પ્રતિબિંબ ઝિલાયું છે. આપણાં લોકગીતોના વિવિધ પાસાંઓનું ઉદાહણ સહિતનું રસદર્શન કરાવતું આ સંકલન એક મહત્વપૂર્ણ સંદર્ભ-ગ્રંથ બનેલ છે.

હકુ શાહ

હકુ શાહ

જયમલ્લભાઈની અભ્યાસી કલમ તથા સ્વાનુભવને આધારે લખાયેલ ‘આપણું ભરતગૂંથણ’ પુસ્તકમાં તેમની સૂક્ષ્મ કલાદ્રષ્ટિ જોવા મળે છે. ભરતની સાથે લોકગીતો અને લગ્નગીતોનો આટલો સ-રસ સંગ્રહ, તેની ઐતિહાસિક પશ્ચાદભૂમિકા સાથે આપણને મળે છે. હીર અને મોતીભરતની પારાવાર વિશેષતાઓ તેમણે તારવી બતાવી છે.

વી. એસ. ગઢવી

વી. એસ. ગઢવી

જયમલ્લભાઈએ તેમના લખાણો દ્વારા લોકસંસ્કૃતિના વ્યાપક ક્ષેત્રમાં દરેક રીતે મોટું યોગદાન આપ્યું હતું. તે લખાણોના વિષયાનુસાર સંચયો અને તેમના અગાઉના પુસ્તકોના પુર્નમુદ્રણો પાછલા 23 વર્ષો દરમિયાન પ્રસિદ્ધ થયા. કોઈ પણ સાહિત્યકાર માટે તેના સાહિત્યનો વ્યાપક પ્રચાર-પ્રસાર એ જ તેને સાચી શ્રધ્ધાંજલિ હોઈ શકે. આ રીતે અક્ષરદેહે જયમલ્લભાઈ ચિરંજીવ છે.

વિનોદ પરમાર

વિનોદ પરમાર

આઝાદી પછી રાજકોટના સાત-આઠ ગરીબ અને પછાત વિસ્તારોમાં જયમલ્લભાઈએ સ્થાપેલી સંસ્થા ‘જાગૃતિમંડળ’માં ઘણાં કુટુંબોને સારી જિંદગી જીવવાના પાઠ મળ્યા હતા. અહીં ગ્રાસરૂટ લેવલે પહેલી પેઢીને એમણે શિક્ષણ, સંસ્કૃતિ, સંગીત, લોકસાહિત્ય, નાટ્ય-નૃત્ય, સમાજસુધારણા, સમૂહ જીવન, સદભાવના અને બુનિયાદી ઘડતરની પ્રવૃત્તિઓ કરાવી. બે દાયકા સુધી સમાજના કચડાયેલા અને છેવાડાના વર્ગની સાથે ચાલ્યા, તેમની વચ્ચે કામ કર્યું અને દીવાદાંડી બન્યા

હીરાભાઈ પરીખ

હીરાભાઈ પરીખ

સૌરાષ્ટ્રમાં 1956થી 1965 સુધી, સામાજિક, સહકારી, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો, કલાકારો, સરકારી અમલદારો, સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓના પદાધિકારીઓને જયમલ્લભાઈએ નશાબંધી પ્રવૃત્તિમાં સામેલ કર્યા હતા. નશાબંધી સામેની આવી સામાજિક ‘ક્રુઝેડ’ મારી દીર્ઘ સરકારી કામગીરી દરમિયાન અન્યત્ર મેં ક્યાંય નિહાળી નથી.

ભરત યાજ્ઞિક

ભરત યાજ્ઞિક

જયમલ્લભાઈ લોકકલાકારોનો સધિયારો હતા. લોકકલાઓ વિષે અંતરના ઓરતા જ્યાંથી આળસ મરડીને બેઠાં થાતાં, જ્યાં એનો ઓથાર ઉતારી શકતાં એવો હૂંફાળો વિસામો હતા. ઝવેરચંદ મેઘાણીથી આરંભાયેલ લોકસાહિત્યનો એક સોનેરી યુગ જયમલ્લભાઈ પાસે વિરામ પામ્યો.

ડૉ. રમેશ ભાયાણી

ડૉ. રમેશ ભાયાણી

કલા અને સાહિત્યક્ષેત્રે જયમલ્લભાઈનું પ્રદાન મોટું છે. પરંતુ વિજ્ઞાનક્ષેત્રે ખગોળમાં ‘આકાશપોથી’ અને ‘ગગનને ગોખે’ તથા પંખીદર્શનમાં ‘અલબેલા પંખીઓ’, ‘પ્રેમી પંખીડાં’, ‘રૂપરૂપનાં અંબાર’, ‘વગડાંના વાસી’ જેવા સુંદર પુસ્તકો જયમલ્લભાઈએ ગુજરાતને આપ્યા. વર્ષો પૂર્વે લખાયેલા તેમના આ પુસ્તકોની મૂળભૂત વિગતોમાં વિજ્ઞાનના આટલા સંશોધનો પછી પણ કોઈ ફેર પડ્યો નથી તે જયમલ્લભાઈની અભ્યાસદ્દષ્ટિ બતાવે છે.

ડૉ. વિનોદ જોશી

ડૉ. વિનોદ જોશી

કોલેજકાળ દરમિયાન ‘ઊર્મિનવરચના’ અને જયમલ્લભાઈના લેખો તેમજ પુસ્તકો રસપૂર્વક વાંચતો. મારા ઘડતરમાં આ રીતે તેમનો પરોક્ષ ફાળો રહેલો છે.

લાભશંકર પુરોહિત

લાભશંકર પુરોહિત

જયમલ્લ પરમારનું વિશિષ્ટ યોગદાન તો આપણી લોકસંસ્કૃતિના ઊંડા અધ્યયન અને સૌરાષ્ટ્રી પત્રકારિતાના ખેડાણના ક્ષેત્રે સમર્પિત સૂઝવાળા અભ્યાસી તરીકેનું રહ્યું છે. પણ ‘સમય સમયના રંગ’ પુસ્તકમાં ઐતિહાસિક્તાને અળપાયા દીધા સિવાય, વિસ્મૃત થતાં વિગતની સાક્ષાત્કારક રજૂઆત, નિરૂપણની સ્પર્શક્ષમતા અને કથ્ય ભાષાના પ્રવાહી પોતને ગદ્યમાં જોતરવાની ગુંજાશના ગુણો વડે કરીને વિલક્ષણ ગદ્યકાર તરીકે મુદ્રા પણ સ્થાપી આપી છે.

 

પુષ્કર ચંદરવાકર

પુષ્કર ચંદરવાકર

જયમલ્લભાઈનું સૌથી મોટું પ્રદાન અનેક લોકસાહિત્યકારોમાં આત્મવિશ્વાસ પ્રેર્યો તે છે. ગુજરાતમાં કેટલાયને ‘ઊર્મિનવરચના’ દ્વારા તેમણે રમતા કર્યા છે. આ કાર્ય તેમણે હોંશ અને ઉત્સાહથી કર્યું હતું.

જોરાવરસિંહ જાદવ

જોરાવરસિંહ જાદવ

જયમલ્લભાઈના પત્રો માત્ર ઔપચારિક નહીં, પણ અભ્યાસપૂર્ણ બની રહેતા. એમાં લોકસાહિત્યના કોઈને કોઈ અંગની ચર્ચા હોય. લોકસંસ્કૃતિના વર્તમાન પ્રવાહોની ચર્ચા હોય. કંઈક માર્ગદર્શકરૂપ બે શબ્દો પણ પત્રમાં ટાંક્યા હોય. સંશોધકની ભૂલ તરફ એવી સૌમ્ય ભાષામાં ધ્યાન દોરતા, જેથી એને પોતાની ભૂલ સમજાય અને ફરીથી વધારે સભાનપણે કાર્ય કરવા પ્રેરાય. આ એમના જીવનનું એક મહત્વનું પાસું હતું. જયમલ્લભાઈના આવા અનેક પત્રો આ લેખક પાસે મોજુદ છે.

ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

જેમના વચ્ચે અવિભાજ્ય રીતે આપણે સૌ રહીએ છીએ, કશુંક પામી  છીએ, તે લોકની સુભગતાની અને માંગલ્યની દ્રષ્ટિ અને સિધ્ધિને જે ભક્તિભાવ તથા કલાવિવેકથી તમે પુરસ્કૃત કરો છો, તેને માટે ગુજરાત તમારું ઋણી છે.

ડૉ. શિરીષ પંચાલ

ડૉ. શિરીષ પંચાલ

જયમલ્લ પરમારે ‘ઊર્મિનવરચના’ના જે વિશેષાંકો તૈયાર કર્યા તે માત્ર ‘ઊર્મિનવરચનાના’ની તવારીખમાં જ નહીં, ગુજરાતી લોકસાહિત્યના સન્દર્ભે તથા ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના સંદર્ભે પણ ખૂબ જ મહત્વના ગણાય. સામાન્ય રીતે આપણે બંગાળી, હિંદી ભાષાના વિદ્વાનોનો આધાર લઈએ છીએ. આપણે એવું વાતાવરણ ઊભું કરીએ કે ઈતર ભાષાઓના વિદ્વાનોને ગુજરાતી ગ્રન્થો વાંચવાની ફરજ પડે; ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર જેવા વિદ્વાનો જે ભાષામાં કામ કરતા હોય તે ભાષાને આ મુશ્કેલી ન જ નડે.

ડૉ. પરમ પાઠક

ડૉ. પરમ પાઠક

ઝવેરચંદ મેઘાણી પાસેથી લોકસાહિત્ય અને પત્રકારત્વની દીક્ષા લેનારા જયમલ્લભાઈ, મેઘાણીના ખરેખરા અનુગામી છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, લોકસાહિત્યનાં સંરક્ષણ, જતન, સંવર્ધન અર્થે જયમલ્લભાઈ તન, મન, ધનથી મથ્યા છે. ગુજરાતના લોકસાહિત્યને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત કરવા એમણે જે કામ સેવ્યું છે, એનું મૂલ્ય આ ક્ષેત્રની મેઘાણીની કામગીરીથી ભાગ્યે જ ઓછું આંકી શકાય.

ડૉ. એસ. વી. જાની

ડૉ. એસ. વી. જાની

જયમલ્લભાઈ ગુજરાતમાં અહિંસક અને સશસ્ત્ર, એમ બંને રીતે ખેલાયેલા સ્વાતંત્ર્ય સંગ્રામના એક અગ્રણી તેમજ મહત્વના સૈનિક હોવાને નાતે તેમના સંસ્મરણોનું રેકોર્ડિંગ કરવામાં આવે તે સ્વાભાવિક હતું. સદભાગ્યે ગુજરાત રાજ્ય અભિલેખાગાર ભવન તરફથી આ કામગીરી મને સોંપવામાં આવી.

ગિજુભાઈ વ્યાસ

ગિજુભાઈ વ્યાસ

સમાજનો જે વર્ગ આપણી લોકકલાઓને સાચવીને બેઠો હતો તે અનેક દૂષણોમાં સપડાયેલો હતો. એટલે લોકકલાનો પુરસ્કાર કરતાં કરતાં જયમલ્લભાઈનું ધ્યેય એ વર્ગને દૂષણમાંથી મુક્તિ અપાવવાનું હતું. લોકકલાના પુનરૂત્થાન થકી સમાજોત્થાન સાધવાનું હતું. એક સંવેદનશીલ સમાજશાસ્ત્રી, સમાજસેવક તરીકે તેમણે આ કામગીરી બજાવી હતી.

ડૉ. પ્રદ્યુમ્ન ખાચર

ડૉ. પ્રદ્યુમ્ન ખાચર

કાઠિયાવાડનો રોચક ઇતિહાસ અને તેના ખમીરવંતા માનવોના માયાળુ યોગદાનના રખોપા કરનાર આ સંસ્કાર પુરુષો થકી, નવી પેઢીને ચેતનવંતી કરવાનું અને પૂર્વજોના સંસ્કારો બતાવવાનું કાર્ય ‘ભાગું તો ભોમકા લાજે’ ગ્રંથ વર્ષો સુધી કરતો રહેવાનો છે, તેથી આવા ગ્રંથોને તો ધર્મગ્રંથોની જેમ પૂજવા જોઈએ. હવે પછી પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને જિલ્લાવાર પાળિયાઓનો અભ્યાસ કરવા માટે આ ગ્રંથ દિશાસૂચક થઈ પડશે. એ કાર્યનો યશ પણ ‘ઊર્મિનવરચના’ના લેખકો અને આ ઋષિકાર્ય કરનારને ફાળે જાય છે તેમ કીધા વિના ચાલે તેમ નથી.

જયમલ્લ પરમારના શબ્દોમાં

લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિ અંગેના તેમના પોતાના વિચારો

લોકસાહિત્ય માત્ર રસદર્શન નથી, પ્રથમ તો એ જીવનદર્શન છે. આજ સુધી આપણી સામે એનું રસદર્શન જ રહ્યું છે, તેથી જીવનદર્શન ભુલાયું છે. લોકસાહિત્ય મનોવ્યાપારનું સાહિત્ય નથી, પણ મન સાથેના જીવનનું એક જીવનનિષ્ઠ સાહિત્ય છે. લોકસાહિત્ય પુસ્તકોમાં નથી, ફિલ્મો કે રેકોર્ડોમાં નથી. નથી એનાં ગીત, સંગીત કે મનોરંજનમાં ! એ તો લોકજીવનમાં છે. લોકજીવનનો જેટલો અનુભવ, એટલું લોકસાહિત્ય સમજાય. પુસ્તકો તે સમજવામાં આપણને મદદ કરે. પશ્ચિમના પુસ્તકો વાંચીને તેને આધારે આપણા લોકસાહિત્યની મૂલવણી કરવી તેમાં નથી તર્ક કે નથી વિજ્ઞાન. લોકસાહિત્ય, લોકજીવનનું વિજ્ઞાન છે. લોકસાહિત્યની જીવનદ્રષ્ટિ એટલે લોકજીવનનાં વિજ્ઞાનનો માર્મિક અભ્યાસ. એકવાર એ દ્રષ્ટિ ખૂલી જતાં લોકજીવન જેના જેના વડે પુષ્ટ થયેલું છે તેવાં પ્રકૃતિનાં-કુદરતનાં તમામ રહસ્યો ખૂલતાં આવશે. લોકસાહિત્ય માત્ર દુહા-ગીત-છંદ કે વાર્તામાં પરિસમાપ્ત થતું નથી. જેટલું જીવન વ્યાપક છે, તેટલું જ લોકસાહિત્ય વિશાળ છે.

જયમલ્લ પરમાર

પીએચ.ડી. માટે આવનાર ભાઈ-બહેનોને હું એ જ વાત કહું છું કે, જ્યાં સુધી તમને લોકની રજ ચોંટી નથી, લોકમાં રહેવાનું, રમવાનું અને ભમવાનું મળ્યું નથી, ત્યાં સુધી તમે લોકને નહિ પામી શકો. લોકને પામ્યા સિવાય એનાં સાહિત્ય કે કલાને નહિ પામી શકો.નાટ્યક્ષેત્રના અઠંગ અભ્યાસીઓ અને ઉત્તમ નટો પણ ભવાઈના અંશોને જીવંત નથી બનાવી શકતા. એનું કારણ એ છે કે ધાવણ બીજું ધાવ્યા છે. નિર્બંધ કંઠ ને મુક્ત અંગભંગ લાખ વાતેય કંઠના અને નૃત્યના શાસ્ત્રીઓ ન લાવી શકે. અંગ ઢાંકેલા કે આડંબરી પોષાકના ભપકા નીચેના શહેરી કરતાં વનમાં લંગોટી પહેરીને ઊભેલા આદિવાસી મને વધારે ગમે છે. એમાં એનું સહજ-સૌંદર્ય રહેલું છે.

જયમલ્લ પરમાર

સૌરાષ્ટ્રના સૂક્ષ્મ પાષાણયુગની સંસ્કૃતિ વિશે જાણવાનાં સાધનો હજી નથી મળ્યાં ત્યાં સુધી એમ કહી શકીએ કે સૌરાષ્ટ્રમાં સંસ્કૃતિનું જે પહેલું પરોઢ ઊગ્યું તે સાગરસંસ્કૃતિનું હતું. દ્વારકા સમુદ્રકાંઠે સ્થપાયેલી નગરી હતી. સૌરાષ્ટ્ર માટે કૃષ્ણ સંશોધન કે વિવાદનો પ્રશ્ન નથી, પ્રાણભૂત સંસ્કાર છે. સૌરાષ્ટ્ર કૃષ્ણની ક્રીડાભૂમિ જ નહોતું, સાધનાભૂમિ પણ હતું.

 

જયમલ્લ પરમાર

સૌંદર્ય, સમૃધ્ધિ અને આદર્શનાં હૃદયંગમ ચિત્રો લોકગીતોએ હંમેશાં લોકો સામે ખેંચ્યા કર્યાં છે. એથી લોકજીવનને સર્વ રીતે એણે કલાપૂર્ણ અને રૂપાળું રાખ્યા કર્યું છે. સચ્ચાઈની, સજ્જનતાની અને દિલાવરીની સમૃધ્ધિથી લોકોને સમૃધ્ધ રાખ્યા છે ને એની સામે સંતોના, ભક્તોના, સતીઓના, શૂરાઓના અને સ્વાર્પણના આદર્શો હસતાં રમતાં ગાઈ ગવરાવીને પ્રેરણા પાતાં રહ્યા છે. જેવા ભાવ એવા જ સ્વરો ને જેવા સ્વરો એવા જ શબ્દોના સુંદર મેળમાંથી લોકગીતો સર્જાયાં. લોક કામગરા હોય છે. એ શિકારી હોય, પશુપાલક હોય, ખેડૂત હોય, ખારવા હોય કે રક્ષક હોય. એના સામાજિક કે વ્યવસાયિક જીવનનો પ્રત્યેક પ્રસંગ આનંદ-ઉત્સવનો બની રહેતો અને તે ગીતો વડે વ્યક્ત થતો. લોકજીવનનાં અવ્યક્ત મનમાંથી, અચિંત્યરૂપથી અનાયાસે ઉદભવતા મનોભાવોની લયાત્મક અભિવ્યક્તિ તે લોકગીત.

જયમલ્લ પરમાર

ફોટો ગેલેરી

bottomline

જયમલ્લ પરમારના જીવન, સાહિત્ય અને સ્મૃતિપ્રસંગોની તસવીરી ઝાંખી

image2
image3
image4
image5
image6
image7
image8
image91
વધુ ફોટા જુઓ

કવિઓની નજરે

કવિઓના શબ્દોમાં જયમલ્લ પરમારનું વ્યક્તિત્વ અને પ્રદાન

જેમલ બીજી જોડ, નજરૂં નાખ્યે નો મળી;
સવસાચી સરમોડ, છોરૂ તું સોરઠ તણું.
પનાવંત પરમાર, લાંબો પણ એટલો લખું;
હે સોરઠ હિયહાર, મોંઘામૂલો માનવી.
મન ખાટે મળીઆ, મળીઆ પણ માથે રયાં;
ભેળા પથ ભળીઆ, (પછી) કોરે ન થીઆ કાગડા.

દુલાભાઈ કાગ

દુલાભાઈ કાગ

ગુણી કલાધર કમલવન, ભયે પ્રફૂલ્લિત ભલ્લ;
દેખી કદર રવિ જિનહિતેં, ઉદિયાચલ જયમલ્લ.

શંકરદાનજી દેથા

શંકરદાનજી દેથા

જયમલ તું જાતાં અહીં સ્વાણ બધી ચાલી ગઈ;
સૌરાષ્ટ્ર લોકસાહિત્યની ખાણ્ય હવે ખાલી થઈ.
તેં સોંપ્યો સાહિત્યનો, ભરપૂર લઈ ભંડાર;
વેધુ કુણ એ વાંચશે, પોથા ને પરમાર.
પીરસવી પરમાર ક્યાં રસસાહિતની લાણ,
છે નહિ આ સૌરાષ્ટ્રમાં, જયમલ જેવી જાણ

પિંગળશીભાઈ ગઢવી

પિંગળશીભાઈ ગઢવી

જયમલ્લ નિર્મળ નીર, ઘેરાં વમળ વિના વહ્યાં,
સીંચા હાડ ખમીર, ધરવી તેં સોરઠ ધરા.

પં. નરેન્દ્રપ્રકાશ પંડ્યા

પં. નરેન્દ્રપ્રકાશ પંડ્યા

તને લાઠ કહું ક ચગો, ખાંભી કહું ક ઠેશ ?
ઓ જીવતડા પાળિયા, થારો ઋણી રહેગો દેશ.
સિંહ, ગિરાં, મઠ, મંદિરાં, નારી, નીર, નરાં;
ખ્યાતાં, બાતાં, બંદરાં, સોરઠ સંત સરાં.

સુબોધકુમાર અગ્રવાલ

સુબોધકુમાર અગ્રવાલ

જયમલ પામી જગતમાં, આદરમાન અભૂત;
કીર્તિ કરી ગયો કાયમી, શારદ તણો સપૂત.
સદા ધુણી સાહિત્યની, તાપીને અવધૂત;
સફેદ કપડે સંત થયો, વાહ વાહ પરમારા પૂત.

નારાયણદાનજી બાલિયા

નારાયણદાનજી બાલિયા

ઝવેરચંદ જાતાં, કલમે ચડીઆ કાટ;
(પણ) પરમાર બેસાડી પાટ, તેં ઝળકાવી કલમ જેમલા.

મૂળુભાઈ પાલિયા

મૂળુભાઈ પાલિયા

કર ઉપાડી કલમ તેં, ધન્ય જયમલ્લ પરમાર;
‘ઊર્મિ’ લઈ ઉમંગથી, આપ્યું સાહિત અપાર.

ટપુભાઈ ગઢવી

ટપુભાઈ ગઢવી

ખૂણે ખાંચરે ખંખોળીને, ‘ઊર્મિ’માં કરાવ્યું રસપાન;
જયમલ્લ જગને દીધું, લોકજીવનનું જ્ઞાન.

એલ. બી. શાહ

એલ. બી. શાહ

જૈમલ તું સ્વર્ગે જતા, સૂના પડિયા સૂર;
ન રિયાં મુખે નૂર, સાહિતને સાંસો પડ્યો.

કરસન પઢિયાર

કરસન પઢિયાર

લોકહૃદયના માલમી, આત્મસૂઝે ઓપતા ઉમદા એકલમલ્લ; પરને પોતાનાં કરે, જણ એવા જયમલ્લ! વટની જેવા વાંકડા, હિલ્લોળાય હંમેશ; ઓડ લગી આળોટતા, કાન ઢાંકતા કેશ. સબળ ભૂમિ સૌરાષ્ટ્રના બળકટ ભારે બાળ; ડુંગર-દેરાં દિલ વસ્યાં, નેણાં નેસ વચાળ. લોકકળાના જાણતલ, લોકશાસ્ત્ર નિષ્ણાત; લોકહૃદયના માલમી, લખી લોક રીતભાત. કહેણી માંડે કસબથી, ‘ઊર્મિ’ ભરી ઉમંગ; વાતમહીં વ્હેતો થતો કોઈ કસુંબી રંગ! મોર, અશ્વ ને સાવજાં, નરવા નર ને નાર; પ્રગટે પુસ્તકપાન, જ્યાં લેખણ લિયે લટાર! જીવનભર શાં જાળવ્યાં ગરવા ગાંધીમૂલ; મરમી મેઘાણી તણા, કલમતણું એ ફૂલ.

ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

ચોપગાંના ચારિત્ર્યને, લખતા ન કવિ લગાર;
(પણ)તેં લખ્યું લક્ષે કરી, (તને) રંગ જયમલ્લ પરમાર.

માધુભાઈ પડિયા

માધુભાઈ પડિયા

પરમ ગ્રંથના પંથનો, અઘરો અતિ અમલ્લ;
જીવન વિદેહી જીવતાં, જાણ્યું તેં જેમલ્લ.

બળદેવભાઈ નરેલા

બળદેવભાઈ નરેલા

વાતું ને વાચા આપીને, ભજનુંને આપ્યા ભાવ;
જાણતલ ક્યે જયમલ્લ, અમે દઈ શકીએ નહીં દાવ.
નેસડાથી નગરી લગ, લોકસાહિત્યની વધી લાજ;
જબરો જશ જયમલ્લને, એણે સજાવિયા સાજ.

કમલેશ ગઢવી

કમલેશ ગઢવી

થાય છે કૈં ધરૂં, પણ શું ધરૂં ?
ન પુષ્પ પાસે છે, ન બીલીપત્ર છે.

 

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ

જેમલ કેરો જીવતો, આ ઊડે રંગ-ફુવાર;
ગોઠી ચાલ્યો ગેબમાં, પણ શબદ કરે ગુંજાર.

 

મકરંદ દવે

મકરંદ દવે

કૈં જનમ્યાં કૈં જનમશે, લેખક લાખ કરોડ;
(પણ) જશનામી જડશે નહિ, જૈમલ તારી જોડ.
જૈમલ રે’તો જાગતો, શબ્દો કાજ સદાય;
નબળું હાલે નાંય, પરખ તારી જે પ્રાગાઉત

બાપલભાઈ ગઢવી

બાપલભાઈ ગઢવી

1 / 1
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech