પુસ્તક વિશે
ભારતના હરકોઈ પ્રાંતની લોકકલાઓમાં તેના લોકનૃત્યો મોખરાનું સ્થાન ધરાવે છે. લોકનૃત્યો એટલે લોકજીવનનના સરળ-સહજ આવિર્ભાવનો સંગીત, વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ. શાસ્ત્રીય નૃત્યો અને લોકનૃત્યો, બન્નેના લગભગ અર્ધ શતકના જયમલ્લભાઈના અનુભવ અને અભ્યાસના નિચોડ સ્વરૂપે લખાયેલા લખાણો ‘આપણાં રાસ ગરબા’ નામના આ પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે. ગરબા-ગરબી અને રાસ-રાસડા વચ્ચેનો ભેદ તેમણે અહીં સમજાવ્યો છે. આ બે શબ્દયુગ્મો વિશેનું રસાળ વિવરણ આપણી કેટલીક ભ્રામક માન્યતાઓનું નિરસન કરે છે. આપણા લોકનૃત્યોનાં 13 જેટલા ફોર્મ (પ્રકાર) લેખકે અહીં અલગ તારવી બતાવ્યા છે. ‘મણિયારા’ વિશે જાતજાતની વાતો કહેવામાં આવે છે. વાસ્તવમાં ‘મણિયારો’ શું છે તેનું અહીં નિરૂપણ થયું છે. તરણેતરના મેળામાં 50-60 વર્ષ પહેલાં લોકનૃત્યો સાથે ગવાતા લોકગીતો અહીં સર્વપ્રથમ આપણને મળે છે. લોકનૃત્યના વિસરાયેલા પ્રકાર ‘દેદો કૂટવાનો રિવાજ’ લેખ આ ક્ષેત્રના અભ્યાસીઓને ગમશે. ઐતિહાસિક રાસડાના એક પ્રકાર તરીકે ગોપીચંદનો 170 કડીનો રાસડો પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. ‘આપણાં રાસ-ગરબા’ પુસ્તકના પ્રકરણો ઉપર નજર નાખીએ તો ગરબા અને ગરબી, રાસ અને રાસડા, રાસ અને બ્રહ્માનંદજીના છંદ, શ્રમહારી નૃત્ય ટીપણી, ટીટોડો, હમચી અને ગેર, મેર લોકોના રાસ, પઢારોના રાસ, કોળીઓના રાસ, સીદીઓનું ધમાલનૃત્ય, પટેલોના રાસ, ભરવાડ અને આયરોના રાસ, રાસનું પ્રાકૃતિક સૌંદર્ય, લોકગીત અને લોકનૃત્ય, લોકનૃત્યમાં શૌર્ય, ભારતનાં વિવિધ લોકનૃત્યો વગેરેનો સમાવેશ થાય છે. રાસ-નૃત્યોની લાક્ષણિક્તા, વાદ્યો, ગીત અને વેશભૂષા અંગે 30 પાનાંનો વિસ્તૃત લેખ આ પુસ્તકમાં ગ્રંથસ્થ છે. પુસ્તકના આરંભે 16 પૃષ્ઠોનું ફોટો આલ્બમ મુક્યું છે, તેમાં પણ પરંપરાગત લોકનૃત્યોના ફોટા જોવા મળે છે.