પુસ્તક વિશે
ગુજરાતના લોકસંગીત અને તેના વિભિન્ન પહેલુઓ અંગે વિશદ્ છણાવટ કરતા જયમલ્લ પરમારે લખેલા 19 લેખો ‘આપણું લોકસંગીત’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. ગુજરાતના લોકસંગીતની વિશાળ ભૂમિકા ઉપર તાત્વિક છણાવટ કરતું આ પહેલું પુસ્તક હોવાથી કેટલાક વિદ્વાનોએ તેને ગુજરાતના લોકસંગીત ઉપરનું પાઠ્યપુસ્તક ગણાવ્યું છે. આપણાં લોકસંગીતનું એક સુઘટ્ટ ચિત્ર વાચકોની નજર સમક્ષ ખડું થાય છે. પુસ્તકના 19 પ્રકરણોમાં લોકસંગીત એટલે શું, આપણાં સંગીત-શાસ્ત્રોએ જેને ‘દેશી’ સંગીત કહ્યું છે. તેની સાથે ક્યાં-કેવો-કેટલો સંબંધ છે, આ સંગીતમાં સુનિશ્ચિત અને વિવાદાસ્પદ કેવા-કેટલા-ક્યા પ્રકારોનો સમાવેશ થાય છે, સ્વરભાર અને શબ્દનું લોકસંગીતમાં કેટલું અને કેવું સ્થાન છે, એમાં પ્રયુક્ત સ્વર તથા તાલનું સ્વરૂપ કેવું છે, છંદો સાથે એને શું સંબંધ છે, ગુજરાતમાં લોકસંગીતનો વિકાસ ક્યારથી અને કેવી રીતે થયો, આ સંગીતની વર્તમાન ગતિવિધિ કેવી છે, આ બધાં જ અંગોનો પુસ્તકમાં સમાવેશ થાય છે. પુસ્તકના કેટલાંક પ્રકરણો જોઈએ તો આપણું લોકસંગીત, લોકસંગીત અને દેશી સંગીત, સ્વર અને શબ્દની શક્તિ, લોકસંગીતના સ્વર અને તાલ, લોકસંગીત અને કાકુ સ્વર, સામેરીની સાખીઓ, લોકસંગીતનો ક્રમિક વિકાસ, ગુજરાતનાં લોકવાદ્યો, સંગીત અને રાજ્યાશ્રય, સિનેમાનો શિકાર બનતું લોકસંગીત, સાહિત્ય, સંગીત અને શરાબ વગેરે.
સંગીતનાં વાદ્યો, ગુજરાતનાં લોકવાદ્યો અને લોકસંગીતના તાલોની પણ પુસ્તકમાં વિશદ્ છણાવટ છે. વિવિધ પ્રવાહોની ગુજરાતના લોકસંગીતને ઘડવામાં અને બગાડીને વિકૃત કરવામાં કેવી અસર પડી છે તે જયમલ્લભાઈએ અહીં સ્પષ્ટતાથી આલેખ્યું છે. કલાની પ્રસ્તુતીની સફળતા અને મનોરંજન, કલાકારનું દારૂ અને વ્યભિચારથી કેવું અધઃપતન નોતરે છે તે જયમલ્લભાઈએ આપણા કલાજગતમાંથી અને પશ્ચિમના પ્રશિષ્ટ મનાતા સાહિત્યકારોના દાખલા આપીને જણાવ્યું છે.