પુસ્તક વિશે
માનવજાત ઉપર નદીઓનો અનહદ ઉપકાર છે. એટલે જ નદીઓ ઉપર કાવ્યો, સ્તોત્રો, લેખો અને પુસ્તકો લખવાનું પણ નવી વાત નથી. ગુજરાતીની જ વાત કરીએ તો 1933 આસપાસથી તેમાં નદીઓ વિશે લખાય છે. નદીઓ વિષયક દોહરા તો મધ્યકાલીન સાહિત્યમાં મળી આવે છે. પણ સૌરાષ્ટ્રની નદીઓ, તેની સાથે સંકળાયેલી લોકવાર્તાઓ, લોકભાષામાં જ લખાયેલા નદીવિષયક અભ્યાસલેખો, ઐતિહાસિક દૃષ્ટિએ નદીનું મહત્વ અને તેને કાંઠે પાંગરેલી સંસ્કૃતિઓ વગેરે દ્દષ્ટિએ જોઈએ તો એ પ્રકારના પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ છે. ‘પતિતપાવની સરિતાઓ’ તેમાં મૂલ્યવાન ઉમેરણ છે.
પુસ્તકનો પહેલો ભાગ નદીવિષયક 17 લોકવાર્તાઓનો છે. બીજા વિભાગમાં નદી સંબંધી દુહા અને કાવ્યો છે. ત્રીજા વિભાગમાં 23 અભ્યાસલેખો સમાવિષ્ટ છે. ‘જીવન અને નદીનું સખ્ય’, ‘નદીપૂજા’, ‘લોકજીવન અને સાહિત્યમાં નદી’, ‘સરિતાએ વહાવેલો સાહિત્યનો સ્ત્રોત’, ‘સાંસ્કૃતિક અવશેષો અને નદી’, ‘ગુજરાતના અભિલેખોમાં નદીઓના નિર્દેશ’, ‘સુભદ્રા-ભાદર’ વગેરે ધ્યાનાર્હ છે. સૌરાષ્ટ્રની 46 સરિતાઓના મૂળ, મુખ અને મોટા વસવાટોની યાદી આ પુસ્તકમાં સર્વપ્રથમ મળે છે. ગુજરાતીના લબ્ધપ્રતિષ્ઠિત સામયિક ‘ઊર્મિનવરચના’નો આરંભ 1930માં કરાચીમાં સ્વ. ડોલરભાઈ માંકડ અને સ્વ. ઇંદુલાલ ગાંધીએ અન્ય મિત્રો સાથે મળીને કર્યો હતો. સિંધુ નદીને નિહાળીને સામયિક શરૂ કરવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો તેનું બયાન ઇંદુલાલ ગાંધીની કલમે ‘પહેલી પચ્ચીસીનું પરિભ્રમણ’ લેખમાં વાંચવા મળે છે. ગુજરાતની નદીઓ ઉપર ‘પતિતપાવની સરિતાઓ’ મહત્વનું પ્રકાશન છે.