પુસ્તક વિશે
સૌરાષ્ટ્ર અને કચ્છની લોકસંસ્કૃતિ વિશેનો આ વિદ્વત્તાપૂર્ણ અભ્યાસગ્રંથ અનેક દ્દષ્ટિએ વિશિષ્ટતાપૂર્ણ છે. આપણા દેશની સંસ્કૃતિનું પોત ભાતીગળ છે. એમાં એક રીતે જોતાં સળંગસૂત્રતા દેખાય છે, તો બીજી રીતે જોતાં પ્રાન્ત પ્રાન્તનું આગવું વૈશિષ્ટ્ય અને એને કારણે આવતું વૈવિધ્ય પણ દેખાય છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને લોકસાહિત્યની મદદથી ઓળખવાનો પ્રથમ પ્રશસ્ય પુરૂષાર્થ મેઘાણીએ કર્યો. તે પછી જયમલ્લભાઈએ લખેલું આ પુસ્તક 1957માં પહેલીવાર પ્રસિદ્ધ થયું હતું. તે સમયની મુંબઈ સરકાર તરફથી શ્રેષ્ઠ પુસ્તકનું પ્રથમ પારિતોષિક પણ ‘આપણી લોકસંસ્કૃતિ’ પુસ્તકને મળ્યું હતું. કુલ 13 પ્રકરણો ઉપર નજર કરીએ તો સંસ્કૃતિનું ઘડતર, આપણાં લોકનૃત્યો, આપણું લોકસંગીત, સંત સરવાણી, સંત સરવાણીના વિશિષ્ટ પ્રકારો, પ્રકૃતિપરાયણ લોકજીવન, ભક્તિ, શક્તિ ને સૌંદર્ય, વસ્ત્રાલંકાર, કલામંડિત લોકજીવન, મુસ્લિમોનું મહાપર્વ મહોરમનો સમાવેશ થાય છે.
લોકજીવનના વૈવિધ્યપૂર્ણ નિરૂપણમાંથી પ્રગટતી જયમલ્લભાઈની પ્રત્યક્ષાનુભવની શ્રધ્ધેય સામગ્રી અને દરેક પ્રકરણમાંથી પ્રાપ્ત થતી વિષય પરત્વેની ઊંડી જાણકારીને કારણે ‘આપણી લોકસંસ્કૃતિ’ ગુજરાતની લોકસંસ્કૃતિનો પરિચય કરાવતો મહત્વનો ગ્રંથ છે. જયમલ્લભાઈ અહીં વિષયથી વિભાવના તરફ જાય છે. અન્ય વિદ્વાનોની જેમ વ્યાખ્યા-વિભાવનાને આધારે તેઓ સાહિત્યનું મૂલ્યાંકન કરતા નથી. પરંતુ વિષયનો સાંગોપાંગ અભ્યાસ કરીને એને આધારે વિભાવના-વ્યાખ્યા આપે છે.
પુસ્તકના આરંભે 16 પૃષ્ઠોનું ફોટો આલ્બમ પણ મુકવામાં આવ્યું છે. ડોલરભાઈ માંકડ સહિતના વિદ્વાનોએ આ પુસ્તકને ‘સંસ્કૃતિના દસ્તાવેજ’ તરીકે ઓળખાવ્યું છે.