પુસ્તક વિશે
એક પત્રકાર તરીકે જયમલ્લભાઈ જેમની પાસે ઘડાયા તે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી. 1930ના મીઠા સત્યાગ્રહથી યુવાન જયમલ્લભાઈની કારકીર્દિનો આરંભ થયો. સાપ્તાહિક અને દૈનિક ‘ફૂલછાબ’ તથા ‘ઊર્મિનવરચના’ અને ‘કલ્યાણયાત્રા’ માસિકના તંત્રીપદે તેમણે યશસ્વી કામગીરી બજાવી હતી. જયમલ્લ પરમાર પોતે તત્કાલીન પત્રકારત્વમાં અને સમાજજીવનમાં ગળાડૂબ જીવ હતા. જયમલ્લભાઈના આ સંસ્મરણાત્મક પુસ્તકમાં પત્રકાર અમૃતલાલ શેઠનો હજી સુધી બહુ જાણીતો ન હોય એવો સંસ્મરણાત્મક પરિચય અપાયો છે. જયમલ્લભાઈએ અમૃતલાલ શેઠ, મેઘાણી અને ‘સૌરાષ્ટ્ર’ પત્રને ખૂબ નજદિકથી જોયા અને જાણ્યા હતાં, એટલે આ લખાણોમાં વ્યક્તિગત, સામૂહિક, વસ્તુનિષ્ઠ અને વિચારનિષ્ઠ પરિચય પ્રાપ્ત થાય છે.
ભારતના આઝાદીજંગના ઇતિહાસમાં 1917 થી 1947 સુધીનો સમયગાળો અનેક રીતે મહત્વનો રહ્યો છે. દેશની આઝાદી પહેલાં અને તે પછી, જીવનના વિવિધ ક્ષેત્રે ઝળકી ઊઠનાર સંખ્યાબંધ મહાનુભાવોનું ઘડતર અને ચણતર ગાંધીયુગના આ કાળ દરમ્યાન થયું હતું. જયમલ્લ પરમાર પણ આ યુગની નિપજ હતા. લખાણની અનુકૂળતા માટે પુસ્તકને 3 વિભાગમાં વહેંચ્યું છે. પહેલા વિભાગમાં અમૃતલાલ શેઠ વિષયક 15 લખાણો છે. અમૃતલાલ શેઠની આગેવાની નીચે લડાયેલા રાણપુર-ધોલેરા નમક સત્યાગ્રહ કે જેના જયમલ્લભાઈ એક સક્રિય સૈનિક હતા, તદવિષયક 9 લખાણો પુસ્તકના બીજા ભાગમાં સમાવિષ્ટ છે. પુસ્તકનો ત્રીજો ભાગ ‘કેફિયત’નો છે. તેમાં મેઘાણીભાઈ અને અમૃતલાલ શેઠે અન્યોન્ય વિશે લખેલા અને આત્મીયતાથી છલકાતા બે લેખો મુક્યા છે.
પુસ્તકના પહેલા વિભાગમાં ‘સૌરાષ્ટ્ર’નો જન્મ, ‘સરદાર સાહેબ સાથે વિખવાદ’, ‘મેઘાણીના ગીતપંખીની પાંખ સૌરાષ્ટ્ર’, ‘ગાંધીજીનો ફેંસલો’ પ્રકરણો નોંધપાત્ર છે. બીજા વિભાગમાં ‘સ્મશાન છાવણી’, ‘શિક્ષણ, પરીક્ષણ અને સ્વાતંત્ર્ય-સંગ્રામ’, ‘અલબેલું અમારૂં વિદ્યાધામ’ અગત્યના છે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ નામ અમૃતલાલ શેઠે આપ્યું હતું તે હકીકત અહીં પહેલી વખત ઉદઘાટિત થાય છે. પુસ્તકના પ્રારંભે 8 પૃષ્ઠોનું આલ્બમ જે તે કાળના ઇતિહાસ તેમજ વ્યક્તિ વિશેષોને ઉજાગર કરે છે.