પુસ્તક વિશે
‘શીલવંતી નારીઓ’ના આ ગ્રંથમાં લોકસંસ્કૃતિની સીમા નિશ્ચિત કરીને તેમાં સ્ત્રીત્વના વિશિષ્ટ વ્યક્તિત્વ તરફ ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે. માત્ર સ્ત્રીઓને જ કેન્દ્રમાં રાખીને સંપાદિત કરવામાં આવેલા આ પુસ્તકમાં સ્ત્રીમાં રહેલા આગવા દૈવતની ઝલક જોવા મળે છે. સ્ત્રીમાં રહેલા પ્રેમ, વાત્સલ્ય, ખુમારી, ફનાગીરી, સ્વાર્પણ, ઉદારતા, પરાક્રમ, સાહસ, ભક્તિ વગેરે વિશેષ ગુણોનું ભરપૂર દર્શન આ પુસ્તકમાં સમાવિષ્ટ લોકવાર્તાઓ, કાવ્યો, દુહા અને અભ્યાસલેખોમાં થાય છે. જયમલ્લ પરમારના બે નિરીક્ષણો ધ્યાનાર્હ છે ‘લોકગીતોમાં સ્ત્રીઓએ પોતાનો સંપૂર્ણ આત્મા ઠાલવ્યો છે. આ સ્ત્રી-વાઙમયમાંથી માતૃશક્તિની પ્રતિભા પ્રગટે છે.’ અને ‘રૂપ એ કહેવાય કે જે જીવન સમસ્તને રૂપાળું બનાવે.’
પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં નારીજીવનના વિભિન્ન પહેલુઓનો પરિચય કરાવતી 24 લોકકથાઓ છે. ‘મીટે ન ભાળું માંગડો’માં માંગડાવાળા અને પદ્માવતીની 32 પૃષ્ઠોમાં વિસ્તરેલી કથા સૌપ્રથમ ગ્રંથસ્થ થઈ છે. પ્રેમ, ત્યાગ, તપશ્ચર્યા, સ્વાર્પણ, દિલેરી અને જવાંમર્દીને કથતી આ તમામ લોકકથાઓ રસાળ બાનીમાં સ્ત્રીઓના અલગ અલગ પહેલુઓનો પરિચય કરાવે છે. કુલ 24 લોકકથાઓ પૈકી સાત, જયમલ્લ પરમાર લિખિત છે.
પુસ્તકનો બીજો વિભાગ અભ્યાસલેખોનો છે. જેમાં તેર લેખો સમાવિષ્ટ છે. આ પૈકીના નવ લેખો જયમલ્લ પરમારે લખેલા છે. આ અભ્યાસલેખોમાં ઊંડાણની સાથે રસાળતા તેમજ તરલતા છે. નારી-જીવનનો તાગ પામવાની તેમાં કોશિશ કરવામાં આવી છે. જયમલ્લભાઈએ પોતાના લેખોમાં નારી-જીવનનાં વિવિધ પાસાં સમગ્રપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક લેખો જોઈએ તો ‘નારીજીવનનંધ અભ્યાસક્ષેત્ર’, ‘લોકગીતોમાં નારીભાવો’, ‘લોકસંસ્કૃતિમાં ભાઈ-બહેનનો સંબંધ’, ‘લોકજીવનમાં નારીનું સૌંદર્ય અને પ્રતિભા’, ‘લગ્નગીતોમાં વરકન્યાની પસંદગી’, ‘નારી તું નારાયણી’, ‘લોકગીતોમાં નારીના વસ્ત્રો, અલંકારો અને કલાપરખ’ વગેરે.
‘લોકસંસ્કૃતિમાં ભાઈ-બહેનનો સંબંધ’ની ચર્ચા ઘણી રોચક બની છે. જયમલ્લ પરમારે યથાર્થ નોંધ્યું છે : ‘આપણા શિષ્ટ સાહિત્યમાં બંધુ-ભગિનીના પરમ સ્નેહનું આવું ચિત્રણ ઘણું ઓછું જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં પ્રિતમ-પ્રેયસીનાં જ દર્શન થાય છે.’ ‘શીલવંતી નારીઓ’નું આ પુસ્તક સ્ત્રીને પોતાની આત્મશક્તિનો, આત્મગૌરવનો, સમાજમાં પોતાના વિશિષ્ટ સ્થાનનો તેમજ પોતાના વિશિષ્ટ કર્તવ્યનો બોધ કરાવવામાં નિમિત્ત બને છે.