પુસ્તક વિશે
સાહિત્યકારોનાં પત્રોનાં પ્રકાશનની એક પરંપરા ગુજરાતી સાહિત્યમાં છે. જયમલ્લભાઈનો સાહિત્યકારો સાથેનો પત્રવ્યવહાર કેટલો અંગત છતાં કેટલો બિનંગત અને વ્યાપકરૂપનો છે, તેનો પરિચય ચારણી સાહિત્યનાં આરૂઢ વિદ્વાન અને લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા ઉપર લખાયેલા તથા અહીં ગ્રંથસ્થ થયેલાં પત્રોમાંથી વાંચવા મળે છે.
જયમલ્લભાઈ જેવાં લોકસંસ્કૃતિનાં વેધુ સમક્ષ ઠાલવેલી અંતરનાં ઊંડાણનાં-ચિત્તની વાતુની પત્રપટારી અહીં સંદર્ભોનાં અંકોડાને અકબંધ રાખીને પ્રસ્તુત કરવામાં આવી છે. પુસ્તકનાં પ્રથમ વિભાગનાં પહેલા પાંચ લેખો ચારણી કવિતા અને શંકરદાનજી વિશે જયમલ્લભાઈએ લખેલાં છે. જૂની પેઢીનાં ચારણ કવિઓ સત્યવક્તા અને સત્યને પક્ષે રહેતા આવેલા. કવિ-પરંપરાની આ ઉજળી બાજુનો પરિચય સંચયનાં પ્રથમ લેખ ‘પ્રાકૃતિક કવિતાનાં અરમાન’માંથી મળે છે. પુસ્તકને વધારે અર્થસભર અને રસાળ બનાવવા માટે અને જે-તે ઘટનાનો સંદર્ભ સમજાય તે હેતુથી પુસ્તકમાં પ્રત્યેક અગત્યનાં બનાવોનાં લેખિત સંદર્ભો મુક્યાં છે. જયમલ્લભાઈનું ગદ્ય સંઘેડાઉતાર છે. તેનો પરિચય તેમના પ્રત્યેક પુસ્તકની જેમ આ પત્રસંચયમાં પણ મળે છે.