પુસ્તક વિશે
સત્ નામનો આધાર ગ્રામનવલકથા છે. ચાર-પાંચ પાત્રો વચ્ચે કૃત્રિમ સંઘર્ષ આલેખી કથારસ ટકાવી રાખવો એ એક વાત છે અને આખા ગામની વસ્તીને એની સીમા વચ્ચેના સંસારમાં ધબકતી આલેખવી એ બીજી વાત છે. જયમલ્લ પરમારની સર્જકતા અહીં ખીલી ઊઠી છે. દસ્તાવેજી, સામગ્રીને ભાતીગળ ઘાટ આપી એમાં રહસ્યની ઝાંય પ્રગટાવી છે. નવલકથામાં મુખ્ય પ્રશ્ન પાણીનો હોય એમ લાગે, પણ પાણી ક્યારે જીવનનું પ્રતીક બની જાય છે અને ભાવક ક્યારે સમગ્રના અનુભવમાં મુકાઈ જાય છે એની સભાનતા રહેતી નથી. હિંદીમાં જેને ‘જાનપદી ઉપન્યાસ’ કહેવાય, તેવી નવલકથા ‘સત્ નામનો આધાર’ છે. આ નવલકથાને માત્ર વાર્તા તરીકે ન વાંચતાં, તેની આસ્વાદ્ય ઈમારતને પણ તપાસવા જેવી છે. કથામાં સમર્પણ અને બલિદાનની કથાઓ દ્દષ્ટાંત તરીકે વણાઈ છે. લેખકની બળકટ ભાષા, રસદાર વર્ણનો અને ચોટદાર નિરૂપણશક્તિ નવલકથાને રોચક બનાવે છે. દેશની સ્વતંત્રતા પહેલાં ગામડાઓમાં રહેલી મુખીપ્રથા અને ખેલાતી કૂટનીતિનું અહીં નિરૂપણ છે. આઝાદીના છ દાયકા પછી આ પ્રશ્નો અલગ રીતે અસ્તિત્વ ધરાવે છે. પ્રસ્તુત નવલકથા સત્ય ઘટના પર આધારિત પ્રસંગોમાંથી વણી છે, તેથી ઘટનાક્રમને અનુરૂપ તેનો અંત આવ્યો છે.
સમગ્ર કથા ધરતીના માનવો, તેમની ખુમારી, તેમની વચ્ચે ખેલાતા છળકપટ, તેમની આશા અને અરમાનો પર રચાયેલી છે.
નવલકથા પછી જયમલ્લભાઈએ લખેલી 19 નવલિકાઓ પુસ્તકમાં સમાવિષ્ટ કરી છે. ટૂંકી વાર્તાઓનું કેન્દ્રબિંદુ ઇતિહાસ, લોકકથા કે સમાજજીવન રહ્યા છે. આ વાર્તાઓમાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. વ્યાપક ભ્રમણ, અનેક વ્યક્તિઓ સાથેના સંબંધો, ઉઘાડી આંખે કરેલું નિરીક્ષણ, રખડપટ્ટી-એ બધામાંથી જયમલ્લભાઈએ વિષયવસ્તુ તારવી તેને પોતાની કલ્પનાથી નવલિકાનો શબ્દદેહ આપ્યો છે.