પુસ્તક વિશે
લેખકના સાહિત્ય, વ્યક્તિઓ, પુસ્તકો અને સ્થળો વિશે લખાયેલા કુલ ૨૯ લેખો ‘સાહિત્યની સુગંધ’માં ગ્રંથસ્થ થયા છે. ગાંધીજી અને પત્રકારત્વ, પત્રકારત્વમાં લેખન, રિપોર્ટિંગ અને એડિટિંગ, આઝાદી પહેલાં સૌરાષ્ટ્રથી થયો હતો ખાદીયુગનો શંખનાદ, શ્રી અને સરસ્વતીનો સુમેળ- રવીન્દ્રનાથ ટાગોર, મેઘાણીભાઈના યુધ્ધગીતો, કર્મશીલ જયમલ્લ પરમાર ઈત્યાદિ લેખો જે તે વિષયની રસપ્રદ છણાવટ કરે છે. પાશુપત સંપ્રદાય અને સોમનાથ, સંત સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્તરે પ્રાણનાથ સ્વામીનું પ્રદાન, મોતીવટનું પાણી હળવદ અને રૂપાયતન-એક કલાધામ લેખોમાં તથ્યો આધારિત પારાવાર માહિતી આવરી લેવાયેલ છે. સનત મહેતા, મધુસૂદન ઢાંકી, અરવિંદભાઈ મણીઆર અને હરગોવિંદભાઈ પટેલ વિશેના લેખો સંતર્પક છે. કોઈ પુસ્તકમાંથી અથવા ગૂગલ ઉપરથી વિગતો મેળવીને લેખો લખાયા નથી તે આ પુસ્તકનું સૌથી મહત્વનું પાસું છે. તમામ લેખોને ‘પર્સનલ ટચ’ અને ‘લોકલ ટચ’ આપીને વિષયને ઉઠાવદાર કરવાની લેખકે ઉઠાવેલી જહેમત પુસ્તકના લખાણોમાં વાંચવા મળે છે.