પુસ્તક વિશે
‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ સાપ્તાહિક અને ૧૯૫૦માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાંથી દૈનિક બની રાજકોટ આવ્યું તેના આરંભના પાંચ વર્ષો મળી ૧૯૨૧ થી ૧૯૫૫ સુધીના ૩૫ વર્ષોનો સિલસિલાબંધ ઈતિહાસ પ્રસ્તુત પુસ્તકમાં વાંચવા મળે છે. જયમલ્લભાઈ સાપ્તાહિક ‘ફૂલછાબ’ અને દૈનિક ‘ફૂલછાબ’ના પહેલા તંત્રી તરીકે ‘ફૂલછાબ’ સંસ્થા સાથે નિકટથી સંકળાયેલા રહ્યા, એટલે ઉપરોકત પુસ્તક દસ્તાવેજીકરણની દિશામાં મહત્વનું કદમ છે. ૮૪ પ્રકરણો, પાંચ પરિશિષ્ટો અને ૩૨ પાનાં ફોટો આલ્બમના ધરાવતા આ પુસ્તકમાં ઈતિહાસની કેટલીક અજાણી અને ઓછી જાણીતી હકીકતો પ્રસિધ્ધ થઇ છે. એક રીતે જોઈએ તો ‘ફૂલછાબ: કુળ અને મૂળ’ પુસ્તક સંસ્મરણોનું છે. સંસ્મરણો પણ આખરે તો ઈતિહાસ છે. સૌરાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ‘સૌરાષ્ટ્ર’ પત્રની સ્થાપના અમૃતલાલ શેઠે કેવા સંજોગોમાં કરી, ઝવેરચંદ મેઘાણીનું તેમાં આગમન, ‘ફૂલછાબ’ સાપ્તાહિકના તંત્રી તરીકેનું તેમનું યોગદાન, ‘ફૂલછાબ’માં ગાંધીજી, દેશની આઝાદી બાદ ૧૯૫૦માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનું દૈનિકમાં રૂપાંતર અને તેનું રાણપુરથી રાજકોટમાં સ્થળાંતર, આરંભના સંઘર્ષભર્યા પાંચ વર્ષો ઈત્યાદિ વૈવિધ્યસભર ઈતિહાસ પ્રસ્તુત પુસ્તકના ૫૭૦ પૃષ્ઠોમાં વાંચવા મળે છે. ગુજરાતી અખબારનો ઈતિહાસ લખાયો હોય તેવા કિસ્સા જૂજ છે. તેમાં ‘ફૂલછાબ:કુળ અને મૂળ’ ખૂબ મહત્વનું પ્રકાશન છે. સૌરાષ્ટ્ર પ્રદેશનો કેટલોક ઈતિહાસ પણ તેમાં આવરી લેવાયો છે. એ રીતે જોઈએ તો આ માત્ર પત્રનો ઈતિહાસ નથી, પણ એક પ્રકારે દેશનો, સમાજનો પણ ઈતિહાસ છે. ઐતિહાસિક અને દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ પ્રસ્તુત પુસ્તક મૂલ્યવાન છે.