પુસ્તક વિશે
જયમલ્લ પરમારના જીવન અને સાહિત્યનો આ પુસ્તિકામાં મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. અલગારી કિશોરાવસ્થા, દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામ, રાણપુર ખાતે સાપ્તાહિક ‘ફૂલછાબ’માં ઝવેરચંદ મેઘાણીનાં સાથીદાર, કર્મશીલ, સાહિત્યકાર, કલામીમાંસક એમ વિવિધ દ્દષ્ટિકોણથી જયમલ્લભાઈનાં જીવનની ઝલક આ પરિચય પુસ્તિકામાં વાંચવા મળે છે. જીવનનાં સીમિત કાળમાં એક વ્યક્તિ સમાજનાં તેમજ સાહિત્યનાં કેટલાં બધાં ક્ષેત્રોમાં કાર્યરત રહી શકે તે આ પુસ્તિકા વાંચવાથી સમજાય છે. તેઓ કહેતા : ‘લોકજીવન મેં પુસ્તકો દ્વારા નથી પિછાણ્યું. લોકસંસ્કૃતિનો અભ્યાસ મેં એના શાસ્ત્રગ્રંથો વડે નથી કર્યો.’
જયમલ્લભાઈએ ઈ. સ. 1967થી ઈ. સ. 1991નાં 24 વર્ષો ‘ઊર્મિનવરચના’ સામયિકનું તંત્રીપદ સંભાળી તેને લોકસાહિત્યનું વાહક બનાવ્યું હતું. ‘ઊર્મિનવરચના’માં તેમણે લખેલાં લેખો વિષયાનુસાર ગોઠવી તેને પુસ્તકોરૂપે સુલભ કરવામાં આવ્યાં છે.
આ રીતે અંદાજે આઠ હજાર પૃષ્ઠો જેટલી સામગ્રી પુસ્તકોરૂપે વાચકો તથા વિદ્વાનોને હાથવગી બની તે ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રની વિરલ ઘટના છે.