પુસ્તક વિશે
લોકવાર્તાનું સર્જન આદિકાળથી થતું આવ્યું છે. આદિ માનવ અરણ્યવાસી હતો અને હજી ગ્રામો, કૃષિ કે અન્ય વિકાસ નહોતો થયો ત્યારે પહેલાં માનવીમાં કુતૂહલ અને કૌતુકનો રસ ઉત્પન્ન થયો, ત્યારથી વાતો કહેવાનો ભાવ જન્મ્યો હતો. શરૂઆતની વાર્તાઓ સત્ય ઘટનાત્મક હતી. પછી રસાનુભૂતિની સાથે સાથે એની કલ્પનાશક્તિનો પણ વિકાસ થતો ગયો. એમાંથી અદભુત રસની કલ્પનામિશ્રિત વાર્તાઓનો વિકાસ થયો. આવી કથાઓનો વધારે વિકાસ બૌધ્ધકાળથી થયો કહેવાય છે.
કથા કથવા-કહેવામાંથી કથા, કથાનક, કથન અને કથક શબ્દ યોજાયા છે. વૃત્ત ઉપરથી વાત-વારતા-વાર્તા શબ્દ આવ્યો. કથા અને વાર્તા સાથે ‘લોક’ શબ્દ જોડાયો ને લોકકથા કે લોકવાર્તા શબ્દ બન્યો. સાહજિકતા અને સહૃદયતા એ બે લોકકથાનાં મહત્વનાં અંગો છે. લોકકથાની શૈલી સ્વાભાવિક, સરળ અને નિરાડંબરી હોય છે. લોકસાહિત્યના વિવિધ વિષયોના ખેડાણમાં લોકવાર્તાઓનું પણ ઘણું મોટું ખેડાણ થયું છે. લોકકથાઓ-લોકવાર્તાઓ કોને કહેવી અને કોને ન કહેવી એની ચર્ચા વિદ્વાન વિવેચકો કરતા આવ્યા છે. કથા-વાર્તાને સમજવા માટે એવા તાત્વિક અન્વેષણની અગત્ય પણ એટલી જ છે.
કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે. આ સંગ્રહમાં પણ એવી માનવ-મહિમાથી મહોરતી 113 લોકવાર્તાઓ સંગ્રહિત થઈ છે. ગુજરાતના 25 સિધ્ધહસ્ત લોકવાર્તા લેખકોની શ્રેષ્ઠ લોકવાર્તાઓનો આ ગ્રંથસંપુટ છે. ‘નર પટાધર નીપજે’માં રજૂ થયેલી કથાઓની ઘટના લોકજીવનની છે. પણ એને કલાદેહ તેના લેખકોએ આપ્યો છે. લોકકથાઓના આ ચાર સંગ્રહોમાં સમાવિષ્ટ થયેલી કથાઓમાં ભાષાવૈવિધ્ય, સંસ્કારવૈવિધ્ય, પ્રત્યેક લેખકની નિરનિરાળી શૈલી અને નિરનિરાળા વળોટ જોવા મળશે. તેનો મુખ્ય ઉદેશ આ પ્રદેશના સાંસ્કૃતિક મૂલ્યોને અજવાળવાનો છે. શીલવંત, ભૂલાં પડેલાં, ભટકેલાં, પરાક્રમશીલ, હસમુખા તથા હેતાળવા નર-નારીઓના જીવનની મધુરપે મહેકતાં પાત્રો આ 113 લોકવાર્તાઓમાં આળસ મરડીને બેઠાં થાય છે. અસલ તળપદી, શૈલીમાં આલેખાયેલી તેમજ વાચકોને ભાવસૃષ્ટિમાં લઈ જતી આ તમામ કથાઓ ઘટનાપ્રધાન, ભાવનારંગી અને સંસ્કારલક્ષી છે. યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ આ પુસ્તક પાઠપુસ્તક તરીકે રહ્યું છે.
ભાલ પ્રદેશથી માંડીને સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોની લોકવાર્તાઓનો સમાવેશ ‘નર પટાધર નીપજે’માં થાય તેની કાળજી પસંદગી દરમિયાન રાખવામાં આવી છે.