પુસ્તક વિશે
જયમલ્લ પરમારના મૃત્યુ પછી ફક્ત નવ માસના સમયમાં તૈયાર કરવામાં આવેલાં 435 પાનાંનાં આ સચિત્ર સ્મૃતિ-અધ્યયન ગ્રંથમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રની ટોચની 95 વ્યક્તિઓએ જયમલ્લભાઈનાં જીવન, કાર્ય તેમજ સાહિત્યની વિશદ્ તથા વિવિધરંગી છણાવટ કરી છે. ગુજરાતી ભાષાના સાહિત્યકારો બારામાં વ્યાપક રીતે લખાયું હોય એવા બનાવો જૂજ છે. પ્રસ્તુત પુસ્તક તેમાં મહત્વનું ઉમેરણ છે.
જયમલ્લભાઈનું આઠ દાયકાનું જીવન નાનાવિધ તબક્કામાં વહેંચાયેલું છે. એમનાં તમામ સ્વરૂપોનું આછું દર્શન કરાવવાનો ‘લોકસંસ્કૃતિનું બીલીપત્ર’ પુસ્તકમાં પ્રયાસ થયો છે. કોઈ પણ લેખ અથવા પત્ર વાંચો, તેમાં જયમલ્લભાઈના ધન્ય જીવનની વાત એકસરખી સૌનાં અંતરમાંથી બોલતી સંભળાશે.
જયમલ્લભાઈનાં જીવનમાં બહુવિધતા હતી, પણ રંગ તો એક જ હતો. એ રંગ તે સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈને સમાજને વધારેમાં વધારે આપવાનો. જયમલ્લભાઈએ લોકસાહિત્યનો જીવનસાધના તરીકે સ્વીકાર કર્યો. ‘લોક’ તેમને મન કોઈ શબ્દ ન હતો, પણ સેંકડો વર્ષોની ઉજ્જ્વળ પરંપરાનું પ્રતીક હતો. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે-જે તેમના પરિચયમાં આવ્યાં હોય તેઓ ભૂલી શકતા નહીં. સંસારમાં કેટલીક વ્યક્તિઓને ઈશ્વર માત્ર સુગંધ પ્રસરાવવા જ મોકલે છે. જયમલ્લભાઈ ઈશ્વરની આ લીલાનાં પ્રતીક હતાં. તેનું ફળ ‘લોકસંસ્કૃતિનું બીલીપત્ર’માં નજરે પડે છે. ગુજરાતનાં કોઈ સરસ્વતીપુત્ર માટે 95 સન્માન્ય લેખકો-કવિઓ તેમનાં લખાણો મોકલી આપે તેવી ઘટના ભાગ્યે જ બની છે.
‘લોકસંસ્કૃતિનું બીલીપત્ર’ પુસ્તક ફક્ત શ્રદ્ધાંજલિગ્રંથ બની ન રહે એ જોવાનો સંપાદકનો ઉદ્દેશ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સાંસ્કૃતિક તેમજ સામાજિક જીવનના કેટલાંક પૃષ્ઠોને આ પુસ્તક અંતર્ગત આવરી લેવાયેલ છે.