પુસ્તક વિશે
લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણીસાહિત્ય અને વ્યક્તિવિશેષો અંગેના ૩૪ લેખો આ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. સાહિત્યને કોઈ કૃતિ તરીકે નહીં, પણ જીવન-ઉત્કર્ષના એક પ્રબળ માધ્યમ તરીકે લેખકે જોયું છે. કોરોનાની મહામારીએ માનવીને પ્રકૃતિ પ્રત્યે સજાગ કર્યો છે. પુસ્તકના લેખ ‘લોકજીવનમાં વ્રતો અને માન્યતાઓ’, ‘લોકજીવનમાં વ્રુક્ષપૂજાની પરંપરા’ અને ‘લોકજીવનમાં પર્યાવરણ જાળવણીનું કથન’ આ સંદર્ભમાં મહત્વના છે. મંજીરાવાદનને એક લોકકલા તરીકે તપાસવાના પ્રયાસો જૂજ થયા છે. પ્રસ્તુત કલા ઉપરનો લેખ વાચકોને ગમશે. લોકસંસ્કૃતિને ગુજરાતમાં પ્રકાશમય કરનાર છ વ્યક્તિઓ- દુલાભાઈ કાગ, મનુભાઈ જોઘાણી, કાનજીભાઈ બારોટ, પુષ્કર ચંદરવાકર, હેમુ ગઢવી અને જોરાવર સિંહ જાદવ અંગેના લેખો આ પુસ્તકનું મહત્વનું પાસું છે. આ તમામ વ્યક્તિઓ સાથેનો લેખકનો પારિવારિક પરિચય લખાણોમાં વાંચવા મળે છે. દુલાભાઈ કાગ વિષે ૧૪ અને કાનજીભાઈ બારોટ અંગે સાત પાનામાં લખાયેલું લખાણ રસપ્રદ હોવા ઉપરાંત ઓછી જાણીતી માહિતી અહીં વાંચવા મળે છે. દેવકો પાંચાળ, સૌરાષ્ટ્રની લોકકથાઓ, લોકસાહિત્યમાં સાવજ, લોકસંસ્કૃતિમાં કાઠિયાવાડી અશ્વો, લોકસાહિત્યમાં કાગડો, જેવા લેખો જે તે વિષયને ઉજાગર કરે છે. ગુજરાતમાં લોકસાહિત્યની પરંપરા, સૌરાષ્ટ્રનાં ધર્મસ્થાનકો અને તેમની લોકસેવા, વૈશ્વિકરણ અને સંત- સાહિત્યની પ્રસ્તુતતા લેખો આ વિષયોનું વ્યાપક વિહંગ દર્શન કરાવે છે. લોકસાહિત્ય વિદ્યાલય-જૂનાગઢ અને ગુજરાતી લોકસાહિત્યનું સુવર્ણપૃષ્ઠ ‘ઊર્મિનવરચના’ માસિક ઐતિહાસિક તથ્યોને વાચકો સમક્ષ રજૂ કરે છે. લેખકનું અધ્યયન પ્રસ્તુત પુસ્તકમાં જોવા મળે છે.