પુસ્તક વિશે
‘લોક’નો એક અર્થ થાય છે દર્શન. ભારતીય દાર્શનિકો સંસ્કૃતિનો અર્થ કરે છે, પ્રકાશમાં રહેવું અને પ્રકાશને માર્ગે લઈ જવું તે. એટલે લોકધર્મ-લોકસંગ્રહ-લોકકલ્યાણને માર્ગે જવું અને બીજાને લઈ જવા તે. લોક, એની સંસ્કૃતિને એના સાહિત્યના ઉદગમ, વિકાસ, વ્યાખ્યા, સ્વરૂપ અને લક્ષણો અંગે આપણે ત્યાં ઠીક ઠીક અનાવસ્થા પ્રવર્તે છે. ગેરસમજણોનાં ગૂંચવાયેલાં જાળાં ભેદીને એમાંથી લોકસાહિત્યના સાચા સ્વરૂપને પામવાનું રહે છે. લોકવાણીને સાહિત્યિક પ્રતિષ્ઠા આપનાર પુરોગામીઓનો ગૌરવવંતો વારસો; ત્યાર પછીના લોકસાહિત્યના સંશોધન, સંપાદન અને લેખન-પ્રકાશનનું સ્વરૂપ, એનું મનોરંજક સ્વરૂપ; એ બધાની રજૂઆતમાં ચાલી રહેલી લોકસાહિત્ય અને ઇતિહાસની ભેળસેળ, મધ્યયુગી માનસના પડઘા અને પ્રત્યાઘાત, શૈક્ષણિક સ્થિતિ, લોકસાહિત્યનાં બળાબળો ને સાહિત્યિક સત્વો વગેરેની આ પુસ્તકમાં વિચારણા કરવામાં આવી છે. ‘લોક’ અને ‘શિષ્ટ’ વચ્ચેના તાત્વિક તફાવતની અહીં પહેલી જ વાર છણાવટ થાય છે.
પુસ્તકના પહેલા ત્રણ પ્રકરણોમાં જયમલ્લભાઈએ પોતાની જીવનકથા આપી છે. ‘લોકસાહિત્યઃ વ્યાખ્યા, સ્વરૂપ અને વિસ્તાર’, ‘શું છે આ લોક શબ્દ !’, ‘લોકસાહિત્યના પ્રાણપ્રશ્નો’, ‘લોકસાહિત્ય એટલે શું ?’ વગેરે આ પુસ્તકના પ્રકરણો છે. ગુજરાતની યુનિવર્સિટી-ઓમાં અનુસ્નાતક કક્ષાએ પાઠ્યપુસ્તક તથા સંદર્ભગ્રંથ તરીકે આ પુસ્તક રહ્યું છે. લોકસાહિત્યમાં થતી છેતરપિંડી બારામાં લેખકે અલગ પ્રકરણ આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ભારતમાં થયેલા સ્થળાંતરો વિષે પુસ્તકમાં વિસ્તૃત લેખ આપવામાં આવ્યો છે. સંસ્કૃતિ વિષયક ચાર પ્રકરણો, મેઘાણી અંગે બે પ્રકરણો રવીન્દ્રનાથ ટાગોરના જીવન-સાહિત્ય બારામાં વિગતપૂર્ણ આલેખ પુસ્તકમાં સમાવિષ્ટ છે.