પુસ્તક વિશે
ગુજરાતી સાહિત્યમાં હાસ્યપ્રધાન અને કટાક્ષ નવલકથાઓની સંખ્યા જૂજ છે. આ પૈકી ‘ખંડિત ક્લેવરો’ એક છે. ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયેલા લેખકે 1930 થી 1942ના 12 વર્ષ દરમ્યાન જે જોયું-અનુભવ્યું તેનું ચિત્રણ ‘ખંડિત ક્લેવરો’ નવલમાં કર્યું છે. અહીં હાસ્ય છે, તે વેદનાનું છે. આ પુસ્તક પ્રથમ વખત પ્રસિધ્ધ થયું ત્યારે ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં તેણે ભારે ચર્ચા જગાવેલી. ખાસ કરીને આ પુસ્તકનો વિષય તેમજ લખાણની શૈલી અનેક વાચકોને આકર્ષી ગયેલા. પ્રણયજીવન, લગ્નજીવન અને ગૃહજીવનની વિષમતાઓમાંથી ઊભી થયેલી જે સમસ્યા સમાજને મૂંઝવી રહી છે, એને રજૂ કરવાનો અહીં ઉદ્દેશ છે. લેખક ‘ખંડિત ક્લેવરો’ નવલકથામાં માનવ સ્વભાવના સનાતન ઉપહાસનીય ભાવો, દંભ, અભિમાન, વિડંબના, અને આત્મવંચના ઉપર કટાક્ષ કરે છે.
ગાંધીયુગની આ નવલકથામાં એક સળંગ કટાક્ષદ્દષ્ટિ પરોવાયેલી છે. છતાં તેમાં સત્યનો સ્પષ્ટ ભાસ થાય છે. એટલે લેખકે આ વાર્તા કેવળ રમૂજ અર્થે લખી નથી. આપણા સમાજમાં શું ચાલે છે તે સ્પષ્ટ કહેવાનો લેખકનો ઉદ્દેશ છે. 22 પ્રકરણોમાં વહેંચાયેલી આ સમસ્યાગત નવલ ઉપર અનેક ખ્યાતનામ વિવેચકોએ વિવેચનો લખ્યા છે. વાચકને સાદ્યંત જકડી રાખતી ‘ખંડિત ક્લેવરો’ ગુજરાતી હાસ્ય નવલકથાનું એક મહત્વનું પુસ્તક છે.