પુસ્તક વિશે
જયમલ્લ પરમારનાં નામસ્મરણ સાથે જ લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યનાં સંશોધક-સંવર્ધક તરીકેની તેમની છબિ, સૌકોઈનાં માનસપટ ઉપર ઉપસી આવે છે. કાવ્યસર્જન એ જયમલ્લભાઈનું પ્રમુખક્ષેત્ર નથી રહ્યું, તેમ છતાં તેમણે પ્રસંગોપાત કાવ્યસર્જન પ્રતિ કલમ અવશ્ય ચલાવી છે. તેમનામાં કાવ્ય તથા કલ્પનાનાં જે અંકુરો હતાં, તે લોકવાણીની સંવેદનારૂપે સમય-સમય પર યુગધર્મ તેમજ નિજાનંદ સ્વરૂપે વ્યક્ત થતાં રહ્યાં. આ બધી રચનાઓ ‘જંજીર’ કાવ્યસંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. પુસ્તકમાં સમાવિષ્ટ કુલ 27 રચનાઓને ચાર વિભાગોમાં વહેંચી છે. પહેલા વિભાગમાં શિષ્ટ-કાવ્યો, બીજા વિભાગમાં બાળકાવ્યો, ત્રીજા વિભાગમાં કટાક્ષ-કાવ્યો અને ચોથો વિભાગ દુહાઓનો છે. કટાક્ષ-કાવ્યોનું મુખ્ય લક્ષ્ય રાજકીય વાતાવરણ રહ્યું છે. કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ સઘળી રચનાઓમાં લોકબોલી તેમજ લોકકલ્પનોનો ઉપયોગ થયેલો છે. રચનાઓનાં કેટલાંક શીર્ષક જોઈએ તો – તરભેટે, શૃંગોની પછીત, શારદાનાં શણગાર, હજી જંજીર બાકી છે, મદરસ, નટખટ બાળક, મે આવે છે, જૂથનો જમાનો, ખુરશીનાં રોગી વગેરે છે.
‘મહાત્મા ગાંધીનો મકરબો’ કાવ્યમાં જયમલ્લભાઈ લખે છે –
ગાંધી બાપુ સાલ સો વાળા,
ભવ રે ભવનાં રહી ગ્યા ઓરતા,
લીલો મેલ્યો તેં મલક લે’રતો,
ઘેરી ઘટા તારી પાનખરે પીંખાઈ,
બાપુ તારા ધમળા ધોળાં.