પુસ્તક વિશે
લોકસાહિત્યના વ્યાપક પ્રચાર તથા પ્રસારનાં કામોમાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવાં ભેખધારી વ્યક્તિઓનો વિચાર કરીએ તો દુલાભાઈ કાગ તથા જયમલ્લ પરમારનું સ્મરણ સહજ રીતે થાય છે. લોકસાહિત્યને, ચારણી સાહિત્યને જન જન સુધી પહોંચાડવાનું કામ જયમલ્લભાઈનાં લોકસાહિત્યનાં વ્યાપક ખેડાણ તથા દુલાભાઈ કાગની કંઠ અને કહેણીનાં સબળ માધ્યમથી થયું છે. જયમલ્લભાઈનો સાહિત્યકારો સાથેનો સંપર્ક તથા સંવાદ ખૂબ નોંધપાત્ર હતો. ‘ઊર્મિનવરચના’ સામયિક તે માટેનું એક સબળ તથા અસરકારક માધ્યમ હતું. જયમલ્લ પરમાર અને દુલાભાઈ કાગ સાહિત્યનાં અખંડ ઉપાસકો હોવા ઉપરાંત અંગત મિત્રો પણ હતાં. ઉષ્માપૂર્ણ લાગણીનાં સંબંધોથી જીવનભર બંધાયેલાં હતાં. તેમની વચ્ચે થયેલો પત્રવ્યવહાર લોકસંસ્કૃતિનાં ક્ષેત્રનું એક મહત્વનું પ્રકાશન છે. માયાળુ તથા મરમિલા આ હૈયાઓનો નિખાલસ પત્રવ્યવહાર એક ઉત્તમ સાહિત્યકૃતિ ઉપરાંત સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવવા માટે ઉપયોગી દસ્તાવેજી સામગ્રી છે. વ્યાપક રીતે જોઈએ તો ઈ. સ. 1956થી ઈ. સ. 1976 સુધીનાં બે દાયકાનાં સમયપટની દુલાભાઈની આત્મકથાનાં ઓછા જાણીતા અથવા અજાણ્યા પૃષ્ઠો સમાન આ પત્રો છે. આ પુસ્તકમાં કુલ 197 પત્રો સંદર્ભો સહિત સંગ્રહિત કરવામાં આવ્યા છે.