પુસ્તક વિશે
લોકવાર્તાઓ ઊર્મિઓને ઝણઝણાવે છે, આતુરતા ઉત્પન્ન કરે છે, જિજ્ઞાસા જગાડે છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે. સાંજ પડે ને આંગણે કે ઓસરીમાં ખાટલો ઢાળીને દાદી કે દાદા વાર્તા કરતાં હોય, છોકરાં ટોળે વળીને ટહુકાં કરતાં એકતાન થઈ ગયાં હોય અને દાદા-દાદીનો અનુભવનીચોડ વાર્તા દ્વારા પીતાં હોય એવાં દ્દશ્યો હવે નજરે પડતાં નથી. બાળકને રમતાં-કૂદતાં જે મળતું તે આજે નથી મળતું. બાળકોની એક આખી મનોસૃષ્ટિ વાર્તાઓ દ્વારા રચાતી જાય. વાર્તા એવું અમોઘ સાધન છે કે આનંદ આપતાં આપતાં જ શિક્ષણ અપાતું જાય. કથનમાં જેટલો આનંદ વાર્તાઓએ પ્રજાજનોને આપ્યો છે, તેટલો જ આનંદ એણે વાંચનમાં પણ લોકોને આપ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં કિશોરો અને યુવાનોને રસ પડે એવી વીસ લોકવાર્તાઓ સંઘરવામાં આવી છે.
વાર્તાઓનાં શીર્ષક જોઈએ તો - ‘સુખુ અને દુઃખુ’, ‘નાગકુમારી’, ‘ખોપરીનો પોકાર’, ‘અખૂટ હાંડલી’, ‘પરવાળાંની શોધ’, ‘કાંકણમાળા’, ‘ભાઈઓનું વહાલ’, ‘શનિ અને લક્ષ્મી’, ‘કોના નસીબનું કોણ ખાય !’ વગેરે.