પુસ્તક વિશે
વિનોબાજીના ‘ભૂદાન’ આંદોલનને કેન્દ્રમાં રાખીને આ નાટકનું લેખન થયું હતું. ઈ. સ. 1954થી ઈ. સ. 1961 સુધીનાં સાત વર્ષો દરમિયાન ગુજરાત તેમજ મુંબઈમાં ‘ભૂદાન’ નાટકનાં શતાધિક શો થયાં હતાં. સમકાલીન સમયનાં મુખ્ય-મુખ્ય પ્રશ્નો કોઈ પણ સર્જન માટે વસ્તુ તરીકે પસંદ કરવા એ એક દ્દષ્ટિએ સહેલું તો બીજી દ્દષ્ટિએ અઘરૂં કામ છે. વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિ ગત સદીનાં પાંચમાં અને છઠ્ઠા દાયકાની મહત્વની પ્રવૃત્તિ હતી. ‘ભૂદાન’ પ્રવૃત્તિનાં કેન્દ્રવર્તી વિચારને નાટ્ય થકી જયમલ્લભાઈએ અહીં કલાત્મક ઘાટ આપ્યો છે. આ નાટકમાં પ્રત્યેક પાત્રનું સ્વતંત્ર વ્યક્તિત્વ જળવાયું છે. ત્રિઅંકી નાટકમાં રસ સાદ્યંત જળવાઈ રહે છે. નાટકની વસ્તુ સંકલના રસાળ અને કલામય છે. વિનોબાજીએ સાહિત્યકારોને સૂચન કર્યું હતું કે તમે વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યો દ્વારા ‘ભૂદાન’ પ્રવૃત્તિનો જનતામાં પ્રચાર કરો. ‘ભૂદાન’ નાટક એ દિશાનું મહત્વનું પગલું હતું.