પુસ્તક વિશે
માનવીની ઉત્ક્રાંતિમાં માણસ કરતાં ઘોડાનો ફાળો ઓછો નથી. ઘોડાંના સ્વાર્પણથી માનવે પોતાની સિધ્ધિઓ હાંસલ કરી છે. અશ્વની શક્તિ અને સ્વામીભક્તિ, સમજણ તથા વફાદારીની વાતો વિશ્વવ્યાપી છે. એમાંય સૌરાષ્ટ્ર અને અરબસ્તાનના અશ્વો બહુ ખ્યાતિ પામેલા છે. અશ્વ માનવીના જીવનમાં કેટલો એકરૂપ બન્યો છે ! ચિત્રો, મંદિરો અને મહાલયોના શિલ્પ, લાકડાની થાંભલીઓના કંડાર, ભરતકામ, શૂરવીરોના પાળિયા, પ્રેમ, પરાક્રમ અને રણસંગ્રામ, વાછરાદાદા, રામદેવપીર અને સૂર્યના અશ્વ સુધી ઘોડાંનો સંસ્કાર વિસ્તરેલો છે. વિશ્વનો હરએક સંગ્રામ અશ્વ વિના લડાયો નથી.
અશ્વના આ સચિત્ર ગ્રંથમાં લોકસંસ્કૃતિની સીમા નિશ્ચિત કરીને અશ્વના અલગ અલગ પાસાંઓ ઉપસાવવાની કોશિશ કરવામાં આવી છે. પુસ્તકની સરળતા ખાતર તેને 4 વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું છે. આરંભ 14 લેખકોએ લખેલી અશ્વની 38 લોકવાર્તાઓથી થાય છે. આ કથાઓ જેમ એકલા અસવારની નથી, તેમ એકલા અશ્વની પણ નથી. માનવીની તેમજ ઘોડાની વીરતા, ઊર્મિલતા અને સૂઝબૂઝ એકાકાર કરતી આ વાર્તાઓ છે. બીજા વિભાગમાં અશ્વ વિષયક દુહા, કાવ્યો, લગ્નગીતો અને મરશિયા મુકાયા છે. અશ્વના એક સાથે 140 દુહાઓ અહીં પહેલી જ વાર ગ્રંથસ્થ થાય છે.
પુસ્તકનો ત્રીજો વિભાગ અશ્વપરિચયનો છે. ઘોડાંના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ડિંગળી અને પ્રાદેશિક બોલીઓમાં અસંખ્ય નામો છે. એમાંના થોડાં નામો અહીં આપ્યા છે. ઘોડાંની 36 અને 51 જાતિઓની નામાવલિ સાથે ક્યા પ્રદેશમાં આ જાતનો ઉછેર થતો તેની માહિતી પણ સમાવી છે. પુસ્તકનો છેલ્લો વિભાગ અભ્યાસલેખોનો છે. લેખોમાં વિદ્વત્તાનો બોજ, આડંબર કે શુષ્કતા ન આવી જાય તે રીતે પસંદગી કરી છે. ઘોડાંની ઉત્ક્રાંતિથી માંડીને અશ્વમેધ યજ્ઞ, ધર્મ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, લોકજીવન, લોકબોલી, લોકગીતોમાં અશ્વનું સંસ્કાર વર્ણવતા અલગ અલગ લેખો અપાયા છે. ગુજરાતના લોકજીવનમાં અશ્વનું સ્થાન મહત્વનું છે. સંખ્યાબંધ લોકવાર્તાઓ તેમજ કવિકથિત ઇતિહાસમાં અશ્વ-શક્તિની સમંદર-છોળો ઊડતી અનુભવાય છે. તેના પરિચય માટે ‘ભલ ઘોડા વલ વંકડા’ હાથવગી સામગ્રી છે.