પુસ્તક વિશે
હિંદી પ્રજાને જ્યારથી પોતાની પરાધીનતાનું એકસામટું ભાન થયું ત્યારથી, ઈ. સ. 1857થી આઝાદીનાં લડવૈયાઓએ સમર્પણની ધારાઓ વહેતી મૂકી હતી. બંગભંગનાં સ્વદેશી વ્રતધારીઓએ, અગ્રગણ્ય ક્રાંતિવીરોએ અને સેંકડો શહીદોએ ભારતની આઝાદી માટે જાન કુરબાન કર્યા હતાં. આ નવલકથા ઈ. સ. 1942ની લોકક્રાંતિની અભૂતપૂર્વ પ્રાણસમર્પણની ગૌરવગાથા છે. સમયના દેખીતા ટૂંકા ગાળાની, છતાં અસીમ એવી દુર્દમ્ય ભાવનાની અને અતાગ એવાં ત્યાગની આ કથા છે. ‘અણખૂટ ધારા’ની કથા પ્રજાની પામરતાં કરતાં વિશેષ પરાક્રમની છે. અમર અને પ્રેરણાદાયી વારસાની છે. તેનું વસ્તુ એક પ્રાંત કે પ્રદેશ પૂરતું મર્યાદિત ન હોતાં દેશસમસ્તનાં આંદોલનોનાં ફલસ્વરૂપ છે. આ પુસ્તક લખાયું ઈ. સ. 1942થી ઈ. સ. 1945નાં ભૂગર્ભવાસ દરમિયાન. એક રીતે આ નવલકથા છે, પણ તેમાં ઈ. સ. 1942ની ક્રાંતિનો સ્વાનુભવ આલેખાયો છે. જયમલ્લભાઈએ લખ્યું છે તેમ : ‘‘તે દિવસે નવલકથા લખતા ન હતા, પણ નવલકથા જીવતા હતા.’’