પુસ્તક વિશે
જીવનવ્યવહારથી તંગ આવી ગયેલો માનવી, જીવનમાં હતાશા અને અસ્વસ્થતા અનુભવતો હોય છે. પછી જ્યાંથી વધારે સુખ પેદા થાય એવાં આનંદનાં સાધનો તરફ એ વળી જાય છે. ત્યારે એને નિર્વ્યાજ આનંદ આપનારૂં આકર્ષણ પંખીઓ બની શકે. પક્ષીઓનાં રંગબેરંગી શરીર, એમનું લોકોત્તર અંગસૌષ્ઠવ, એમનાં ધમાલિયાં જીવન, ઉન્માદભર્યાં ગાન અને આપણી આસપાસના એમના અનિયંત્રિત સંચારનું શ્રવણ તથા દર્શન, અશાંતિમાંથી આપણને શાંતિ તરફ, નિરાશામાંથી આનંદ તરફ લઈ જઈ શકે.
આપણા જીવનના એક અમૂલ્ય અંગ સમા પક્ષીઓના આ પુસ્તક ‘અલબેલા પંખીઓ’માં લોકપરિચિત 20 પક્ષીઓ (મોર, પોપટ, કલકલિયો, કોયલ, બપૈયો, કાળીઓકોશી, હંસ, સારસ, કુંજલ, કાબર, દેવચકલી, પારેવા, ગીધ વગેરે)નો પરિચય રસાળ તેમજ લોકભોગ્ય ભાષામાં આપવામાં આવ્યો છે. પુસ્તકનો બીજો વિભાગ અભ્યાસલેખોનો છે. તેમાં ‘પ્રજાજીવનમાં પક્ષીઓ’, ‘લોકસાહિત્યનો શણગાર’, ‘દુહામાં પક્ષીઓ’, ‘લોકગીતો અને લગ્નગીતોમાં પક્ષીઓ’ લેખોનો સમાવેશ થાય છે. પક્ષીઓ વિષયક સંખ્યાબંધ દુહાઓ, ભજનો, લોકગીતો, લગ્નગીતો અહીં ગ્રંથસ્થ થયા છે. લેખકનો પક્ષીઓ ઉપરનો અભ્યાસ પુસ્તકિયો નહીં, પણ સ્વાનુભવનો છે. સખત રઝળપાટ અને જાતનિરીક્ષણને પગલે આ લેખો લખાયા છે. પક્ષીઓ જેવા વૈજ્ઞાનિક અને અઘરા વિષયને લોકભોગ્ય ભાષામાં રજૂ કરતા પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ છે. તેમાં ‘અલબેલા પંખીઓ’ અગત્યનું પ્રકાશન છે. પુસ્તકના આરંભે મુકાયેલા 16 રંગીન ફોટાઓ તેનું મહત્વ વધારે છે. ‘મોર’ ઉપરનો 34 પૃષ્ઠનો અને ‘પ્રજાજીવનમાં પક્ષીઓ’ 35 પૃષ્ઠનો લેખ, લેખકના જ્ઞાન, નિરીક્ષણ તેમજ અનુભવના નિચોડ જેવા છે.