પુસ્તક વિશે
કિશોર તથા યુવાન, 11 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને આ સચિત્ર ‘આકાશપોથી’ પુસ્તિકાની રચના કરવામાં આવી છે. પરંતુ આકાશપરિચય કરવા ઇચ્છતા કોઈપણ જિજ્ઞાસુને તે ઉપયોગમાં આવી શકે તેવી છે.
પુસ્તિકાના પ્રથમ વિભાગ ‘આકાશપરિચય’માં આકાશવિષયક પ્રાથમિક વિજ્ઞાન ચાર પ્રકરણમાં મુક્યું છે. બીજા વિભાગ ‘તારક પરિચય’માં સમગ્ર આકાશના તારાઓને વર્ષની ઋતુઓના છ વિભાગમાં વહેંચી નાખીને તેમનો પરિચય આપવામાં આવ્યો છે. પરિચય શુષ્ક ન બની રહે તે માટે તારાઓ સંબંધી ટૂંકી વાર્તાઓ મૂકી લખાણને રોચક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છયે ઋતુઓના તારા બતાવતા છ મોટા નકશા તારકપરિચયને સરળ બનાવવામાં ઠીક ઠીક સહાયભૂત નીવડશે. ત્રીજો વિભાગ પરિશિષ્ટોનો છે. તેમાં રાશિઓ, નક્ષત્રો, તારામંડળો ઇત્યાદિ વિષયક સૂચિ અપાઈ છે. ‘આકાશપોથી’માં આપેલા વિષયની ઉપયોગિતા ઘટી નથી. આજના વિજ્ઞાનયુગમાં તે વધતી ચાલી છે.