પુસ્તક વિશે
અસાઇત ઠાકરથી આરંભાયેલું ગુજરાતનું પારંપરિક નાટ્યસ્વરૂપ ભવાઇ લુપ્ત થવાને આરે છે. ચૌદમી સદીથી ઓગણીસમી સદી સુઘી ભવાઇ નાટ્યસ્વરૂપની જાહોજલાલી હતી. ભવાઇ મનોરંજન સાથે લોકશિક્ષણ આપતું નાટ્યસ્વરૂપ હતું. જયમલ્લભાઇની લોકસાહિત્ય-વિષયક વિભાવનાનું એક ઘ્યાનપાત્ર લક્ષણ છે – સ્વાનુભવ આઘારિત વિવેચન. લોકો અને ગ્રામજીવનનો એમનો સીઘો, નિકટનો, લાંબો અનુભવ જયમલ્લભાઇને લોકસાહિત્ય સમજવામાં અને સમજાવવામાં સહાયભૂત થાય છે. લોકનાટ્યો ઉપર જયમલ્લભાઇએ લખેલા લેખો આ પુસ્તકના દસ પ્રકરણોમાં ગ્રંથસ્થ થયા છે. નાટ્યના સદ્ અને અસદ્ બંને અંશો તેમણે તારવી બતાવ્યા છે. ભવાઇના ઉદભવ પહેલાં લોકનાટ્યો કેવા પ્રકારે અસ્તિત્વ ઘરાવતા હતા તેનું ક્રમબદ્ઘ આલેખન આપ્યું છે. ભવાઇ કલાકાર સંધના જયમલ્લભાઇ પ્રમુખ હતા, એટલે કલાકારોના જીવનને નિકટથી જોવા-જાણવાનો અવસર તેમને મળ્યો હતો. તેના ઉપરથી ‘ભવાઇ કલાકારોની જીવનપ્રણાલી’ લેખ લખાયો છે. ભવાઇના બાર વેશો પણ અહીં તેની શ્રદ્ઘેય વાચના સાથે સમાવ્યા છે, જે પુસ્તકની ઉપયોગિતામાં વૃદ્ઘિ કરે છે. ભારતના વિવિઘ પ્રાંતોના લોકનાટ્યોનો તુલનાત્મક અભ્યાસ જયમલ્લભાઇએ કરેલો, જે પણ પુસ્તકમાં આવરી લેવાયેલ છે. તેમણે ભવાઇ સાથેનો પોતાનો સંબંઘ પહેલા પ્રકરણ ‘ભવાઇનો મારો અભ્યાસ’માં જોડી આપેલ છે. ભવાઇના મૂળ વેશોના ફોટોગ્રાફ્સ પુસ્તકનું મહત્વનું અંગ છે. ગુજરાતના લોકનાટ્ય ભવાઇનું એક સુધટ્ટ ચિત્ર પ્રસ્તુત પુસ્તકમાં વાંચવા મળે છે. ગુજરાતી ભાષામાં લોકનાટ્યો ઉપર ઓછું લખાયું છે. ‘આપણું લોકનાટ્ય ભવાઇ’ આ વિષયમાં અગત્યનું પુસ્તક છે. ગુજરાતના રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નાટ્યકાર માર્કંડભાઇ ભટ્ટે પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખી છે.