પુસ્તક વિશે
લોકસાહિત્યમાં લોકગીતોનું મહત્વ અનેરૂં છે. લોકગીતોમાં લોકોની લાગણી, પરંપરા તથા જીવન જીવવાની સમગ્ર શૈલી કલાત્મક ઢબે વણાયેલી હોય છે. લોકગીતો લોકોનાં જીવન સાથે વણાયેલા હોવાથી તેમનું અસ્તિત્વ જીવંત છે. આ પુસ્તકમાં કુલ 38 લેખો સંગ્રહાયા છે. જયમલ્લ પરમાર લખે છે તેમ : ‘લોકસાહિત્ય માત્ર રસદર્શન નથી, પ્રથમ તો એ જીવનદર્શન છે. આજ સુધી આપણી સામે એનું રસદર્શન જ રહ્યું છે, તેથી જીવનદર્શન ભૂલાયું છે. લોકસાહિત્ય મનોવ્યાપારનું સાહિત્ય નથી, પણ મન સાથેના જીવનનું, એટલે જીવનનિષ્ઠ સાહિત્ય છે.’
લોકગીતોના વિભિન્ન પહેલુઓ અંગે જયમલ્લભાઈએ વિશદ્ છણાવટ કરતા લખેલા તમામ લખાણો અહીં એક સાથે સુલભ બને છે. તેમણે સંગ્રહિત કરેલા વિવિધ લોકગીતો પણ અહીં મૂક્યા છે. તેમાંથી લોકગીતોનું એક સુઘટ્ટ ચિત્ર વાચકોની નજર સમક્ષ ખડું થાય છે. લોકગીતોનો ઉદભવ, વર્ગીકરણ, વિશેષતા, મર્યાદાઓ, લોકજીવનનાં અભિન્ન અંગ તરીકે લોકગીતો – એમ જુદા જુદા દ્દષ્ટિકોણથી જયમલ્લભાઈએ લોકગીતોની મૂલવણી કરી છે. 100 સંપૂર્ણ લોકગીતો અને 140 લોકગીતોના અમુક અંશો અહીં ગ્રંથસ્થ થયા છે. લોકગીતોમાં પ્રકૃતિ, પક્ષીઓ, મોર, અશ્વ કેવા અને કેટલા વણાઈ ગયેલા છે તે અહીં સમાવિષ્ટ લોકગીતોના વાચનથી ખ્યાલ આવે છે. લોકગીતોનું વિશદ્ વર્ગીકરણ સૌપ્રથમ ગુજરાતી લોકસાહિત્યમાં જયમલ્લભાઈએ કરેલું છે.
લોકસાહિત્યના ડાયરાઓમાં પ્રવેશેલા દૂષણો, તેનું સ્થૂળ બનતું સ્વરૂપ અને મર્યાદાઓ અંગે છેક 1974માં જયમલ્લભાઈ જોઈ શકેલા. ‘લોકસાહિત્યના આધુનિક ડાયરા’નો લેખ તેમના વિચારો અને લોકસાહિત્ય પાસે શું અભિપ્રેત છે તે સમજવામાં ઉપયોગી પુરવાર થશે. લોકગીતોનો ઉદભવ, લક્ષણો અને પરિભાષા, લોકગીતોના સ્વર અને તાલ, લોકગીતો અને સ્વરભાવ, ઢાળ અને તાલનો મસ્ત-ગંભીર પ્રકાર મણિયારો, સામેરીની સાખીઓ, તરણેતરના મેળાના લોકગીતો ઇત્યાદિ પ્રકરણો મહત્વ ધરાવે છે. સામેરીની સાખીઓ અને મણિયારા વિશે લેખક અહીં પાયારૂપ પ્રકાશ પાડે છે, જે આ પૂર્વે કોઈ લેખકોએ પાડ્યો નથી.
લોકગીતોના એક પ્રકાર લગ્નગીતો વિષેના ત્રણ પ્રકરણો પણ અહીં સમાવાયા છે. રાજસ્થાનના ભોપા અને તેમના ગીતો, ભીલગીતો, મેઘગીતો અને હોળીનાં ગીતો ઉપર ગુજરાતી લોકગીતોમાં બહુ ઓછું ખેડાણ થયું છે. જયમલ્લભાઈના આ વિષયના લખાણોમાંથી એક નવી દિશા અભ્યાસીઓ માટે ખૂલે છે. છેલ્લે ગુજરાતની બે ભૂતકાલીન ખ્યાતનામ સંસ્થાઓ-ભૂજની લખપત વ્રજભાષા પાઠશાળા અને જૂનાગઢના લોકસાહિત્ય વિદ્યાલય અંગેના લેખો મૂક્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લખી છે.